જામનગર: ભારત-પાક તણાવ દરમિયાન બંને દેશો વચ્ચે ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ કચ્છ અને જામનગરમાં એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે. રાજ્યના સરહદી વિસ્તારોમાં સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જામનગરમાં પણ આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. આ સાથે જ જામનગરમાં આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં આજે રાત્રે 8:00 કલાકથી આવતીકાલ સવારે 6:00 વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરવામાં આવેલ હોય તમામને તેનો અમલ કરવા તંત્રનો અનુરોધ છે.
વેપાર ધંધા બંધ રાખવા અપીલ
જામગરના કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને આજનો દિવસ વેપારીઓએ ધંધા બંધ રાખવા અપીલ કરાઈ હતી.
જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે સાયરન વાગ્યું હતું. જામનગરમાં સાયરન વાગતા લોકોને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સિવાય લોકોને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જામનગર કલેક્ટર દ્વારા લોકોને સાવધાન રહેવા સૂચન કરાયું છે.
કચ્છમાં પાકિસ્તાને ડ્રોનથી કર્યા હુમલા
પાકિસ્તાને કચ્છ પર ડ્રોન હુમલાઓ કર્યા હતા. ભારતીય સેનાએ કચ્છમાં પાકિસ્તાનના છ ડ્રોન તોડી પાડ્યા હતા. વાયુસેનાએ ભૂજ પાસે બે પાક. ડ્રોન તોડી પાડ્યા હતા. જ્યારે નલિયા પાસે ચાર પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ડ્રોનના અનેક હુમલાઓ નિષ્ફળ કરાયા હતા. સરહદી વિસ્તાર જ નહી પરંતુ ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પાકિસ્તાની ડ્રોન ગાંધીધામ સુધી પહોંચ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં વધારાનો બંદોબસ્ત કરાયો હતો. ભુજ, ગાંધીધામના અનેક રસ્તાઓ પર બેરીકેટ લગાવાયા હતા.
આદિપુરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. તે સિવાય અબડાસામાં જોવા મળેલું પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. ભૂજમાં મોટાભાગના વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ કરાયો. નખત્રાણા, લખપત, નલિયા વિસ્તારમાં સુરક્ષા વધારાઈ હતી.
ભુજ શહેરમાં ઈમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કરાયો હતો. કરછ કલેક્ટર દ્વારા તમામ જનતાને આદેશ અપાયો હતો. ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ કરાયા હતા. લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઇ હતી. કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે પણ અપીલ કરાઇ હતી.