Moscow-Goa Chartered Flight:  મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન AZURની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવા માહિતી મળી હતી. આ પછી જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ફ્લાઇટની બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુજરાત પોલીસે પ્લેનની અંદર તપાસ કરી હતી. પ્લેનનું સંપૂર્ણ સર્ચ થયા બાદ નિર્ધારીત રૂટ પર જવા ઉડાન ભરી હતી.


જિલ્લા કલેકટરે શું કહ્યું


આજે જામનગર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારગીએ માહિતી આપતા જણાવ્યું, પ્લેનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ફ્લાઈટમાં બોંબની વાત માત્ર અફવા સાબિત થઈ. 236 પેસેન્જર સહિત કુલ 244 યાત્રીઓ અંદર હતા. આખી રાત સર્ચ ઓપરશન કરવામાં આવ્યું. યાત્રીઓના સામાનની તપાસ કરવામાં આવી.
રાજ્ય અને કેન્દ્રની એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી.






એસપીએ શું કહ્યું


જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતાં કહ્યું, અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળ્યો નથી. ગઈ કાલ રાતથી કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. થોડી જ વારમાં ગોવા જવા માટે પ્લેન ટેક-ઓફ થશે. તમામ યાત્રીઓને રાત્રિના સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા હતા.



રાજકોટ-જામનગર રેન્જના આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે પ્લેન મોસ્કોથી ગોવા જઇ રહ્યુ હતું. તેનું જામનગર એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં રશિયન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓએ મોસ્કોથી ગોવા આવી રહેલી અઝુર એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી.


જામનગર એરબેઝ પર લેન્ડિંગ


તેમણે કહ્યું કે, પ્લેનને જામનગરમાં ભારતીય વાયુસેનાના બેઝ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. આ પછી સુરક્ષા એજન્સીઓએ પ્લેનની તપાસ કરી. આ દરમિયાન કોઈપણ પ્રકારનો બોમ્બ મળ્યો ન હતો. NSGએ લગભગ 6 કલાક સુધી પ્લેનની તપાસ કરી હતી. આ દરમિયાન પ્લેનમાં કોઈ વાંધાજનક સામગ્રી કે બોમ્બ મળ્યો ન હતો. વિમાનમાં સવાર તમામ 244 લોકોને જામનગર એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. હવે એનએસજીની ટીમો દ્વારા એરપોર્ટ પર મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવશે.


 બીજી તરફ, AZUR એરલાઇન વતી કહેવામાં આવ્યું હતું કે AZUR એરને ભારત તરફની તેની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ઈન્ડિયન એવિએશન ઓથોરિટીના નિર્ણય હેઠળ પ્લેનને જામનગરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનમાં બેઠેલા કોઈપણ વ્યક્તિને નુકસાન થયું નથી. આ પછી પ્લેનની તપાસ કરવામાં આવી હતી. વિમાનની તપાસ કર્યા બાદ ફ્લાઇટ અંગે નિર્ણય લેવામાં આવશે


ગોવા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી


બીજી તરફ આ પ્લેનનું લેન્ડિંગ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર થવાનું હતું. આવી સ્થિતિમાં ત્યાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. વાસ્કો પોલીસના ડેપ્યુટી એસપી સલીમ શેખે જણાવ્યું હતું કે બોમ્બ હોવાની માહિતી મળતાં મોસ્કોથી આવતી ફ્લાઈટને જામનગર તરફ વાળવામાં આવી હતી. બીજી તરફ ગોવા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈમરજન્સી સેવાને એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસે એરપોર્ટ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી