Joshimath: જોશીમઠમાં વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં 185 પરિવારોના 657 લોકોને અસ્થાયી રૂપે સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે.


Joshimath Sinking: 


ઉત્તરાખંડના જોશીમઠમાં કેટલાક વધુ ઘરોમાં તિરાડો દેખાવા લાગી છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, તિરાડો હવે શહેરી વિસ્તારના 9 વોર્ડ સુધી પહોંચી ગઈ છે. 147 મકાનો એવા છે જે સંપૂર્ણપણે અસુરક્ષિત ઝોનમાં છે. અત્યાર સુધીમાં 760 ઘરોમાં તિરાડો પહોંચી ગઈ છે. જોશીમઠના વોર્ડ 1, 4, 5 અને 7ને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે, જિલ્લા પ્રશાસને જોશીમઠમાં સ્થાનાંતરણ માટે 83 ઇમારતો પસંદ કરી છે, જેમાં 2,190 લોકો રહી શકે છે.


જોશીમઠ નજીક પીપલકોટીમાં પણ 20 ઈમારતોની ઓળખ કરવામાં આવી છે, જેમાં 2,205 લોકો રહી શકે છે. અત્યાર સુધીમાં 185 પરિવારોના 657 લોકોને હંગામી ધોરણે શિફ્ટ કરવામાં આવ્યા છે. આ રાહત કેમ્પમાં લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પોતે લોકોને મળીને ખાવા-પીવાની વ્યવસ્થા જોઈ રહ્યા છે. રાહત કાર્યો હેઠળ, જિલ્લા વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 210 અસરગ્રસ્તોને સહાય તરીકે 1 કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કર્યું છે.


અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય :


13 જાન્યુઆરીએ, આપત્તિ પ્રભાવિત લોકો માટે પુનર્વસન અને રાહત પેકેજ અંગે કેબિનેટની બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ ડૉ.એસ.એસ. સંધુ અને ડિઝાસ્ટર સચિવ રણજીત સિંહાએ જણાવ્યું કે, બેઠકમાં જોશીમઠના ભવિષ્ય માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ કેબિનેટે 45 કરોડની નાણાકીય સહાય જાહેર કરવાની મંજૂરી આપી છે. કેબિનેટે પુનર્વસન માટે પાંચ સ્થળોની ઓળખ કરી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત પરિવારો માટે ભાડાનો દર 4,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવ્યો છે.
 
ભૂસ્ખલનની વધી રહી છે તીવ્રતા :


ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)ના અહેવાલ મુજબ, એપ્રિલથી નવેમ્બર 2022 દરમિયાન ઘટાડો ધીમો હતો. જોશીમઠ છેલ્લા સાત મહિનામાં -8.9 સેમી ડૂબી ગયું છે. આ પછી, 27 ડિસેમ્બર 2022 થી 8 જાન્યુઆરી 2023 સુધીના 12 દિવસમાં, જમીન ધસી પડવાની તીવ્રતા વધીને 5.4 સેમી થઇ ગઈ છે.