મહેસાણાઃ મહેસાણા જિલ્લાના મુદરડા ગામમાં મંદિરમાં લાઉડસ્પીકર વગાડવા મુદ્દે વિવાદ થતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.


મળતી જાણકારી અનુસાર, મુદરડામાં અજિત ઠાકોર નામનો યુવક પોતાના ઘરના આંગણામાં આવેલા માતાજીના મંદિરમાં દીવો કરી રહ્યો હતો. આ સમયે તે સ્પીકર પર માતાજીના ભજન વગાડી રહ્યો હતો. ત્યારે નજીક રહેતા સદાજી ઠાકોરે સ્પીકર પર ઊંચા અવાજે ભજન કેમ વગાડી રહ્યો છે તેમ કહ્યુ હતું.  અજિત અને તેના ભાઈ જસવંત સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 શખ્શોએ લાકડી અને ધોકાથી બંને ભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ જસવંત ઠાકોરનું મોત થયું હતું.


આ મામલે લાંઘણજ પોલીસે હુમલો કરનાર 6 શખ્સો વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. મુંદરડામાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (46) મંગળવાર સાંજે 7 વાગે નાના ભાઇ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દીવો કરી રહ્યો હતો. તે દરમિયાન તેના મહોલ્લાના સદાજી રવાજી ઠાકોરે અજીત ઠાકોરને સ્પીકર કેમ વગાડે છે તેમ પૂછતાં અજીતે માતાજીનો દીવો કર્યો હોવાથી સ્પીકર વાગતાં હોવાનું જણાવ્યું હતું. જેને લઇ ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 શખ્સોએ લાકડીઓ અને ધોકાથી જશવંતજી અને અજીતજીને ઢોર માર માર્યો હતો.


વડોદરાઃ પેરોલ પર છૂટેલા આરોપીનો ગજબનો કીમિયો, જીવતે જીવ પોતાનું જ ડેથ સર્ટિફિકેટ બનાવ્યું


ડ્રગ્સના કેસમાં દોષી ગુનેગારે જેલમાંથી પેરોલ પર છૂટી ફરી જેલમાં ન જવું પડે એ માટે ગજબનો કીમિયો અપનાવ્યો છે. પણ આ ભેજાબાજ વડોદરા સાયબર ક્રાઇમના હાથે ઝડપાઇ ગયો છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનામાં નોંધાયેલી છેતરપિંડીની એક ફરિયાદમાં શંકાસ્પદ શખ્સની તપાસ કરતા તેની પાસે મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં અભિષેક આઝાદ જૈન નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ હતું. આ સર્ટિફિકેટ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સર્ટિફિકેટ નકલી છે. જેથી અભિષેક જૈન અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ડ્રગ્સના કેસમાં દોષિત હતો અને તેને મધ્યપ્રદેશની કોર્ટે 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.


પેરોલ પર  છુટી ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું
આરોપી અભિષેક જૈન આ ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને  પેરોલ પર મુક્ત થયો હતો અને તેના થોડા સમય બાદ તેના મૃત્યુનું સર્ટિફિકેટ ઇન્દોરની કોર્ટમાં રજૂ કરી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ શખ્સ પર ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જેથી અભિષેક અલિરાજપુર અને વડોદરામાં છુપાઇને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.  પોલીસને બાતમી મળી હતી કે અભિષેક જૈન વડોદરા આવ્યો છે અને જેને આધારે  સાયબર ક્રાઇમ પોલીસે તેને ઝડપી લીધો હતો,  તેમજ ઇન્દોર પોલીસને આ અંગે માહિતી આપી કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.