મહેસાણા: લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ઉંઝામાં ભાજપનો જૂથવાદ ફરી સામે આવ્યો છે. ઉંઝા નગર પાલીકા પ્રમુખે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. ઉંઝા નગર પાલીકાના પ્રમુખ દક્ષિત પટેલે રાજીનામું આપ્યું છે. સામે આવેલી વિગતો અનુસાર ઉંઝા નગર પાલીકામાં ચાલતા આંતરિક વિવાદને લઈ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. તેમણે મહેસાણા કલેક્ટરને રાજીનામું સોપ્યું છે.


પ્રમુખ દક્ષિત પટેલના રાજીનામા બાદ ભાજપ શાસિત ઉંઝા નગર પાલિકામાં ભાજપ સત્તા ગુમાવે તેવા સંકેત છે. ભાજપે મેન્ડેડ આપેલ પ્રમુખે રાજીનામું આપતા સ્થિતિ વિકટ બની છે.  નગર પાલિકા પ્રમુખના રાજીનામાંથી ઉંઝામાં રાજ્કીય માહોલ ગરમાયો છે. તમને જણાવી દઈએ કે, ઉંઝા નગર પાલિકામાં કુલ 36 સભ્યો છે. જેમાંથી 21 ભાજપ 15 અપક્ષ ના સદસ્યો છે. જોકે ભાજપના છ સદસ્યોએ અપક્ષ સાથે હાથ મિલાવતા નવાજૂની એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે ભાજપ પાસે 15 સદસ્યો જ્યારે અપક્ષ પાસે 21 સદસ્યો છે. ભાજપનું આંતરિક રાજકારણ ચરમસીમા પર જતા  પ્રમૂખે રાજીનામું આપ્યું છે. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી નગર પાલીકાના અઘ્યક્ષ મીડિયાના કૅમેરાથી બચતા હતા. હાલમાં પણ મીડીયાનો ફૉન ઉઠાવાનું ટાળી રહ્યાં છે.


આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર વિસાવગરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ હવે મોટી જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે. 3જી ફેબ્રુઆરીએ ભૂપત ભાયાણી કેસરિયોઓ ધારણ કરશે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 3જી ફેબ્રુઆરીએ ભેસાણ ખાતે જંગી સભાનું આયોજન કરાયું છે.  આ સભામાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ પણ હાજર રહેશે. ભૂપત ભાયાણી સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, ભાયાણી 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડ્યા હતા.


 



આ અંગે ભાજપમાં જોડાનાર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 3જી ફેબ્રુઆરીએ હું ઘરવાપસી કરવાનો છું.  મારી સાથે 2 હજાર લોકો ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણી મારે નથી લડવી, મારા વિસ્તારના લોકોની સેવા કરવી છે. જૂનાગઢ લોકસભા અને વિસાવદર પેટાચૂંટણી ભાજપને હારવાની કોઈની તાકાત નથી.


2022ની ચૂંટણી જીતી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા ભાયાણી. ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી ભાયાણી બન્યા હતા MLA. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.