પાટણઃ રાધનપુર નગરપાલિકાનાં ભૂતપૂર્વ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન જી. કોડિયાતરને સસ્પેન્ડ કરાયાં છે. પ્રજ્ઞાબેન જી. કોડિયાતર હાલામાં  વંથલી નગરપાલિકા ( જીલ્લો જૂનાગઢ)માં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. રાધનપુર નગરપાલિકામાં કરેલ ગેરરીતી બદલ ફરજમોકૂફ કરાયાં છે.


પ્રજ્ઞાબેન જી. કોડિયાતર તારીખ 21/12/2019 થી તા.02/11/2021 દરમિયાન રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. પ્રજ્ઞાબેન જી. કોડિયાતરે રાધનપુર નગરપાલિકાનાં ચીફ ઓફિસર તરીકે વિકાસના વિવિધ કામોમાં ગંભીર અનિયમિતતાઓ કરવા બદલ તેમજ ટેન્ડરિંગની કાર્યવાહીમાં સરકારની સૂચનાઓને ભંગ કરી વહીવટી અને નાણાકીય ગેરરીતી કરી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે.


આ બાબતે ગંભીર ફરિયાદો થતાં રાધનપુર નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન જી. કોડિયાતર સામે ખાતાકીય તપાસ હાથ ધરીને ફરજમોકૂફ કરવામાં આવ્યાં છે. 


 


ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 91  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 41  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,051  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 1,82,360 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત  કોર્પોરેશન 16, વડોદરા  કોર્પોરેશનમાં 10, રાજકોટમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7,  વલસાડમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5 , નવસારીમાં 4, ગીર સોમનાથમાં બે, ખેડામાં બે, વડોદરામાં બે, અમદાવાદમાં એક, કચ્છમાં એક, સુરતમાં એક, તાપીમાં એક નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 637  કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 528 નાગરિકો સ્ટેબલ છે. 8,18,051  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10106 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે સુરત કોર્પોરેશનમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 મોત થયું છે. 



 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 12 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 513 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5184 લોકોને પ્રથમ અને 42,949 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 18,976 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,14,726 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,82,360 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,76,83,762 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.





 





 


 અમરેલી, આણંદ, અરવલ્લી,   બનાસકાંઠા, ભરૂચ,  ભાવનગર,  ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર,   જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  મહીસાગર, મહેસાણા,   મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર,  સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.