પાટણઃ ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર નવરાત્રિને મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે લોકો માટે આનંદના સમાચાર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, નવરાત્રિ દરમિયાન શેરી ગરબાને મંજૂરી આપવા માટે રૂપાણી સરકાર વિચારણા કરી રહી છે. ગરબાના રસિકો માટે નીતિન પટેલનું નિવેદન રાહત આપનારું છે. પાર્ટી પ્લોટમાં તો નહીં, પણ સોસાયટીઓમાં કે ઘર આંગણે ગરબા રમી શકાશે.


પાટણમાં કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા નીતિન પટેલે નવરાત્રિ અંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપવાની વિચારણા શરૂ કરી છે અને 200 લોકો ભાગ લઈ શકે તે શરત સાથે ગરબાની મંજૂરી આપવામાં આવે તે અંગે હાલ સરકાર વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈન મુજબ નવરાત્રિમાં શેરી ગરબામાં છૂટછાટ મળી શકે છે તેવા સંકેત નીતિન પટેલે આપ્યા હતા. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે, પાર્ટી પ્લોટમાં થતાં ગરબાના મોટા કાર્યક્રમો અંગે સરકારે હજુ નિર્ણય લીધો નથી પણ તેને મંજૂરી મળવાની શક્યતા નથી.

ગુજરાતમાં નવરાત્રિના આયોજનને મંજૂરી આપવા આયોજકોના દબાણ વચ્ચે ગુજરાતના ડોક્ટરોએ સરકારને નવરાત્રિની પરમિશન ન આપવા માટે વિનંતી કરી છે. આ માહોલમાં નીતિન પટેલે શેરી ગરબાને મંજૂરી આપવાના સંકેત આપતાં ગુજરાતીઓને રાહત થશે. કોરોના પરિસ્થિતિમાં બહુમતી લોકો નવરાત્રિનું આયોજન ન કરવું જોઈએ તેવો મત દર્શાવી રહ્યા છે., નવરાત્રિને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.