મહેસાણાઃ ગરીબ રથ તરીકે ઓળખાતી ટ્રેનનું ભાડું એસટી બસથી પણ વધુ હોવાથી ગુજરાતના આ વિસ્તારમાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. રંગે ચંગે ટ્રેન તો શરૂ કરાઇ પણ ભાડું ખૂબ વધારે રાખતા ટ્રેનમાં બેસનાર જ કોઈ નથી. ગાંધીનગર વરેઠા વચ્ચે શરૂ કરાયેલી ટ્રેનમાં કોઈ બેસનાર જ નહીં. છેલ્લા અઠવાડિયામાં મહેસાણા વરેઠા વચ્ચે માત્ર 22 અને મહેસાણા ગાંધીનગર વચ્ચે માત્ર 26 ટીકીટ વેચાઈ હતી. ગત 16 જુલાઈના રોજ આ ટ્રેનનો રંગે ચંગે પ્રારંભ કરાયો હતો. મહેસાણાના સાસંદ શારદાબેન પટેલે ટ્રેનનો સમય બદલવા કેન્દ્રિય રેલ મંત્રીને પત્ર લખ્યો છે. 


બીજી તરફ ટ્રેનમાં ભાડું વધારે હોવાથી કોઈ મુસાફર ટ્રેનમાં બેસવા તૈયાર નહીં. ટ્રેનમાં મહેસાણા વિસનગર વચ્ચે 30 રૂપિયા ભાડું છે. જ્યારે એસટી બસમાં 18 રૂપિયામાં મુસાફરી થાય છે. વિસનગરથી વડનગરના માત્ર 11 કિમિના ટ્રેનમાં 30 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે. જ્યારે બસમાં વડનગર વિસનગર વચ્ચે 14 રૂપિયામાં મુસાફરી થાય છે.







રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નહીં, અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 12 ઈંચ વરસાદ


રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આશા નહીં. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે રાજ્યમાં સારા વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. અત્યારસુધી રાજ્યમાં ૧૨ ઈંચ સાથે મોસમનો ૩૬ ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે ૨ ઓગસ્ટ સુધી ૧૪ ઈંચ સાથે મોસમનો ૪૩ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.


 


આમ, ગયા વર્ષની સરખામણીએ વરસાદ હજુ ૭ ટકા ઓછો નોંધાયો છે. અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા,  ઉત્તર ગુજરાતમાં ૮.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૦.૭૮% , પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૩.૭૯%, સૌરાષ્ટ્રમાં ૯.૨૫ ઈંચ સાથે મોસમનો ૩૩.૪૭% અને દક્ષિણ ગુજરાતમાં ૨૨.૫૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૯.૧૮% વરસાદ નોંધાયો છે.


 


મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી


 


દેશમાં ભારે વરસાદે પહાડથી લઈ રણ સુધી હાહાકાર મચાવ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી કેટલાક રાજ્યો પૂરથી પ્રભાવિત થયા છે. દેશનું દિલ જેને કહેવાય છે તે મધ્યપ્રદેશ હાલ પૂરમાં ડૂબ્યું છે. મધ્યપ્રદેશના ત્રણ જિલ્લા શિવપુરી, શિયોપુર અને દતિયામાં ભારે વરસાદે સૌથી વધુ તબાહી મચાવી દીધી છે. ત્રણેય જિલ્લાની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે.









 


 


હવામાન વિભાગે મધ્યપ્રદેશના 25 જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આઘાહી કરી કરી છે. તો શિવપુરી અને શિયોપુરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધી શિવપુરીમાં 47 સેંટિમીટર, ગુનામાં 27 સેંટિમીટર, અશોકનગરમાં 20 સેંટિમીટર અને ટીકમગઢમાં 10 સેંટિમીટર વરસાદ વરસી ચૂક્યો છે.


 


મધ્યપ્રદેશમાં પૂરના હાહાકારના કારણે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીત કરી શક્ય તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. આ તરફ શિવપુરીમાં ભારે વરસાદ અને પૂરના કારણે 45થી વધુ પરિવારો ફસાયા હતા. હાલ વાયુસેનાએ ફસાયેલા લોકોને બચાવી લેવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ તરફ SDRFએ અત્યાર સુધી 15 લોકોને હોડીની મદદથી બચાવી લીધા હતા. તો 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું હતું.