મહેસાણા : રાજ્યમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે. રોજ રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યના વધુ એક જાણીતા મંદિરને આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે તેવા જ સમયે મંદિર બંધ કરવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.

પાટીદારોના કુળદેવી ઉમિયા માતાનું ઉંઝામાં આવેલું ઉમિયાધામ 14 થી  30 તારીખ સુધી મંદિરને ભક્તો માટે બંધ રાખવામાં આવશે. કોરોના મહામારીને લઈ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે જેને લઈ મોટી સંખ્યામાં દૂર દૂર થી ભક્તોમાં ઉમિયાના દર્શન માટે અહીં પ્રધારે છે. આ દિવસો દરમિયાન મંદિરની શાસ્ત્રોક્ત પૂજા -અર્ચના ,પક્ષાલ વિધિ ,શણગાર આરતી , રાજભોગ થાળ , હોલ હવન, જેવી ધામિક પ્રવૃતિઓ ચાલુ રહેશે.

કયા મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં

  • દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવમાં અનિશ્ચિત સમય સુધી દર્શન બંધ કરવામાં આવ્યા છે.
  • જલારામ બાપાનું વિરપુર ખાતે આવેલું મંદિર પણ હાલ બંધ છે.
  • ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે.
  • સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ ખોડલધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
  • સુપ્રસિદ્ધ તુલશીશ્યામ મંદિર પણ 30 એપ્રિલ સુધી બંધ.
  • મોરબીના વાંકાનેરનું જાણીતું માટેલ મંદિર ભક્તો માટે બંધ.
  • અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિમાં થતી અખંડધૂન બંધ રાખવામાં આવી.
  • સાળંગપુર મંદિરમાં પૂજાપાઠ, ધર્મશાળા, ભોજનાલય 15 એપ્રિલ સુધી બંધ.
  • અમરેલીના લાઠીનું ભૂરખિયા હનુમાનજી મંદિર ભક્તો માટે બંધ.
  • સુરતના ઓલપાડમાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર અચોક્કસ મુદત માટે બંધ.
  • અમદાવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના 23 મંદિર અનિશ્ચિક મુદત માટે બંધ
  • તાપીના વાલોડ ખાતે આવેલું ગણેશ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણયય
  • જૂનાગઢના ભવનાથ, વિલિંગ્ડન અને સત્તાધાર ધામ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.