Mehsana : મેહસાણા જિલ્લાના વિજાપુરમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ઉભરીને સામે આવ્યો છે. વિજાપુર તાલુકા ભાજપમાં ત્રિંરગા યાત્રાના નામે જોવા જૂથવાદ જોવા મળ્યો. અહીં ભાજપના એક જૂથે ત્રિંરગા યાત્રા યોજી, જેમાં વિજાપુરના ભાજપના ધારાસભ્યની બાદબાકી થઇ. એટલે કે  વિજાપુર MLA રમણલાલ પટેલને આમંત્રણ જ  ન અપાયું. 


વિજાપુર MLA રમણલાલ પટેલને આમંત્રણ જ  ન અપાયું 
મહેસાણા વિજાપુર તાલુકા ભાજપમાં ત્રિંરગા યાત્રાના નામે રાજકારણ શરૂ થયું છે. ભાજપના  એક જૂથે આજે વિજાપુરમાં ત્રિંરગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં   મહેસાણા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને પી.આઇ.પટેલ આ કાર્યક્રમના યજમાન બન્યા હતા.


જૉકે આ કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય રમણલાલ પટેલને આમંત્રણ ન અપાયું અને ધારાસભ્યની બાદબાકી કરાઈ. જેને લઇ વિજાપુર તાલુકાનું ભાજપનું રાજકારણ ગરમાયું  છે. જો કે  ભાજપના પૂર્વ જિલ્લા પ્રમૂખ નીતિનભાઈ પટેલે કહ્યુ કે આ કાર્યક્રમનું જાહેર આમંત્રણ છે પણ ધારાસભ્ય હાજર ન રહ્યા.  


આ વિજાપુર તાલુકાનો નહીં, એક જૂથનો કાર્યક્રમ : MLA રમણલાલ પટેલ
જોકે બીજી તરફ વિજાપુરના ભાજપ ધારાસભ્ય રમણલાલ પટેલે કહ્યું કે આ  ત્રિંરગા યાત્રા કાર્યક્રમ વિજાપુર તાલુકા ભાજપનો ન હતો, આ એક જૂથનો કાર્યક્રમ હતો. જેમને ભાજપના નેતાના બેનરનો ખોટો દૂર ઉપયોગ કર્યો છે. ભાજપની ત્રિંરગા યાત્રા આવનાર 12 તારીખે યોજવાની છે ત્યારે આ ત્રિંરગા યાત્રા ભાજપની નથી. 


 પી.આઈ.પટેલ ગુલાંટ મારવા ટેવાયેલા : MLA રમણલાલ પટેલ
વધુમાં  MLA રમણલાલ પટેલે કહ્યુ  કે પી.આઈ.પટેલ જ્યાં લાભ મળે ત્યાં ગુલાંટ મારવા ટેવાયેલા છે. પી.આઈ.પટેલની માનસિકતા ખોટું બોલવાની છે. પી.આઈ.પટેલે કરેલો કાર્યક્રમ પાર્ટીનો કાર્યક્રમ નથી. વિકાસ સમિતિના નામે કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. પી.આઈ.પટેલ કોંગ્રેસમાંથી આવેલા છે અને એમની માનસિકતા જ ખોટું બોલવાની છે. 


પી.આઈ.પટેલે MLA રમણલાલ પટેલ સામે મોરચો માંડ્યો
તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય  પી.આઇ. પટેલે વર્તમાન ધારાસભ્ય રમણલાલ પટેલ સામે  મોરચો માંડ્યો. તેમણે કહ્યું કે વર્તમાન ધારાસભ્ય કાર્યકરો સાથે સંકલન સાધવામાં નિષ્ફળ ગયા છે, ત્રણ જ મહિનામાં નવા ધારાસભ્ય આવશે. 


વિજાપુરમાં ભાજપના આંતરીક વિવાદને કારણે તાલુકાનું રાજકારણ ગરમાયું છે અને  વિજાપુરમાં ભાજપના જ બે જૂથો સામે સામે જોવા મળી રહ્યાં છે.  જૉકે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા વિજાપુર તાલુકા ભાજપનો આંતરીક વિવાદે  ભાજપની ચિંતા  વધારી છે.