મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી અમરેલી જિલ્લો કોરોનામુક્ત હતો. જોકે, આજે અહીં પણ કેસ નોંધાતા સમગ્ર ગુજરાત કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસો સામે આવ્યા છે. જિલ્લાના છઠિયારડામાં 2, વિસનગરમાં 2 અને મોલિપુરમાં 1 એક કેસ નોંધાયો છે.


વિસનગરના રંગપુર ગામમાં 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. અન્ય એક મહિલાના પતિ અમદાવાદ ઓએનજીસીમાં ફરજ બજાવે છે. બંનેની હિસ્ટ્રી અમદાવાદની છે.

ગુજરાત સરકારની અખબારી યાદી પ્રમાણે નોંધનીય છે કે, ગઈ કાલે પણ સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહેસાણા જિલ્લામાં 7 કેસો નોંધાયા હતા. ગઈ કાલે પાંચ વાગ્યા સુધીમાં કુલ 59 કેસો નોંધાયા હતા. જેમાંથી 37 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ બે લોકોના મોત થયા છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 20 એક્ટિવ કેસ હતા. જેમાં આજે નવા પાંચ કેસોનો વધારો થયો છે.