વિધાનસભા ચૂંટણી 2022:  મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે, જ્યારે નિરીક્ષકો ઉમેદવારનું ફોર્મ લેતા હતા કે કોની કોની ઈચ્છા છે, ત્યારે ઘણા લોકોએ થોડી થોડી રજુઆત આપી હતી. કોઈને તો ફોર્મ નહોતું ભરવું પણ તોય લોકોએ ફોન કરીને કરીને બોલાવ્યા હતા. નીતિનભાઈની લોકપ્રિયતાને કેટલાક લોકો ઈર્ષાથી જોતા હતા. મેં અગાઉ પણ કહ્યું છે આજે પણ કહું આપણું રૂપાળું બાળક હોય તો આપણી માતાઓ તેને કાળી ટીલી કરે છે. મનેય કોઈને ને કોઈએ કાળું ટપકું લગાવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વખતે નીતિન પટેલને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી નથી.


 જાણો સીઆર પાટીલે કોની સામે કાર્યવાહી કરવાની આપી ચીમકી


ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમા તેમણે બળવાખોર નેતાઓને ટકોર કરી છે. તેમણે કહ્યું કે, ઉમેદવારી પ્રક્રિયા સંપન્ન થઈ છે. કાલે એનું વેરિફિકેશન ત્યાર બાદ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે. 89 સીટોમાંથી 82 સીટ પર ભાજપના અગ્રણીઓ પ્રચાર અર્થે જશે. 18થી લઈને 20 તારીખ સુધી વિકાસના કાર્યો લોકો સુધી પહોંચાડાશે. કાલથી ઉમેદવારો માટે વિધિવત પ્રચાર શરૂ થશે.


આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, 15 નેતાઓ કેન્દ્રમાંથી 46 સીટ પર પ્રચાર કરવા આવશે. લોકલ નેતાઓ 14 આગેવાન 36 સીટ પર જશે. સી.આર.પાટીલની પ્રેસમાં મોરબી મુદ્દો પણ ગાજયો હતો. મોરબીમાં હોનારતમાં કોઈ પાર્ટીના નેતા ન આવ્યા કે ના બચાવ કાર્યમાં ભાગ લીધો. ભાજપના લોકો એ જ બચાવ કાર્ય કર્યું. જે દોષી છે તેને સજા મળશે.  તો બીજી તરફ તેમણે એવી પણ ચિમકી ઉચ્ચારી કે, જો ભાજપનો કાર્યકર અપક્ષ ઉમેદવારી કરશે તો પક્ષ પગલાં લેશે. આવા લોકોએ ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. આમ આદમી પાર્ટીના ગાયબ થઈને પ્રગટ થયેલા ઉમેદવાર વિશે પણ તેમણે ટિપ્પણી કરી. નાના બાળકને મા સાંભળી લે, તો પાર્ટીએ તેના ઉમેદવાર સાચવવા જોઈએ. આમ સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા.


બોર્ડર પર મોદી આગળ ઊભા રહી જાય તો ચાઇના પાછળ હટી જાય


 મહેસાણાના ખેરાલુમાં સીઆર પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, મારે તો એવા કાર્યકર્તા જોઈએ છે કે સીટ જીતાડે. આ વિસ્તારમાં 30000 પેજ કમિટીના સદસ્ય છે. જ્યાં એક ઘરના 3 મત પડે તો 90000 મત પડે. દોઢ લાખ મતમાંથી 90000 મળે એટલે આપણી જીત નિશ્ચિત છે. પીએમએ વલસાડમાં કહેલું કે, હું ચુંટણી મારો રેકોર્ડ તોડવા જ લડી રહ્યો છું. આપણે પીએમને ખાતરી આપીએ કે આપણે બધા જ રેકોર્ડ તોડીશું. 


ભાજપમાં કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ મળી શકે


આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, બીજી પાર્ટીઓ જ્ઞાતિ જ્ઞાતિના ભાગલા પડાવે છે. ભાજપનો કાર્યકર્તા જીતે છે અને સત્તા પ્રાપ્ત કરી સેવા કરે છે. સત્તાનો ઉપયોગ કરનારને કાઈ નડતું નથી. બીજા પાંચ વર્ષ પણ ભાજપ આગળ વધી રહી છે. વિરોધીઓને પૂછશો તો પણ કહેશે કે સરકાર પણ ભાજપની જ બનશે. આપણું પેટ મોટું એટલે ઓછી સીટો ના ચાલે. 150થી વધુ સીટો જ જોઈએ. પીએમ અને અમિત શાહે એક એક કાર્યકર્તાને શોધી શોધીને ટિકિટ આપી છે. કોઈ બિલ્ડર નહિ કે કોઈ મોટો માણસ નહિ. ભાજપમાં કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ મળી શકે છે.