હિંમતનગરઃ સાબરકાંઠાના ચકચારી ઇડર પાવાપુર જલમંદિરના કામલીલાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. વ્યભિચારી મહારાજ સાહેબોની કામલીલાનો ભાંડો ફૂટતા તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, ત્યારે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત દોલતસાગર સૂરીશ્વરજી મહારાજે રવિવારે આચાર્ય કલ્યાણસાગર અને તેમની સાથે રહેલા સૌ સાધુઓની સમુદાયમાંથી કાયમ માટે હકાલપટ્ટી કરવાનો આદેશ કર્યો હતો.


નોંધનીય છે કે, પાવાપુરી જલમંદિર તીર્થ ખાતે આચાર્ય કલ્યાણસાગર, રાજતિલકસાગર (રાજા મહારાજ), ધર્મકીર્તિસાગર અને તેમના શિષ્ય એવા એક બાળ મુનિ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. બંને જૈન સાધુઓની ધરપકડ પછી રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19નો ટેસ્ટ કરાયો હતો. જે નેગેટિવ આવતાં વિધિવત ધરપકડ કરાઇ છે.

આ કામલીલાના પ્રકરણમાં ઓડિયો-વીડિયો પુરાવા અને વીડિયોમાં દેખાતી પીડિતા સાથેના વ્યભિચાર અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. અગાઉ ફરિયાદી મહિલાએ નિવેદન ફેરવી તોળતા પોલીસે અગમ્ય કારણોસર હથિયાર હેઠા મૂકી દીધા હતા. પરંતુ વૃદ્ધાના નિવેદન પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે સાંજે બંને મહારાજોને હિંમતનગરથી ઇડર લવાયા હતા.