મહેસાણાઃ જિલ્લાના વીરપુર પાસેના ઓવર બ્રિજ પરથી બોર્ડની પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ મળી આવતા અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિજ્ઞાનના ધોરણ 10ની લખાયેલી ઉત્તરવહીઓ બ્રિજ પરથી મળી આવી છે. ત્યારે આ અંગે મહેસાણા જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સ્મિતા પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ધોરણ-10 માટે પાલા કેન્દ્ર નંદાસણ છે. જ્યારે ધોરણ- 12 માટે પાલા કેન્દ્ર ગાંધીનગર છે.


તેમણે જણાવ્યું હતું કે, અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધી આન્સર શીટ પહોંચાડવાની હોય છે. અમે પોલીસ બંદોબસ્ત સાથે પાલા કેન્દ્ર સુધી સેમ ડે આન્સર શીટ પહોંચાડી દીધી છે. પાલા કેન્દ્રથી આન્સર શીટ ઝોનમાં જાય છે અને ઝોનથી મદયસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર જાય છે. હવે આ શીટ કેવી રીતે ત્યાં પહોંચી તે અમને આઈડિયા ના હોય. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધીની છે.