બનાસકાંઠાઃ થરાદની નર્મદા કેનાલમાં પાંચ લોકોના આપઘાતના મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે કેનાલમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવી હતી. આ પછી સતત શોધખોળ બાદ વહેલી સવારે યુવક-યુવતીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. 24 કલાકમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાંથી 5 લોકોના મૃતદેહ બહાર નીકળ્યા.


કેનાલમાં આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે. મહિલાની સાથે યુવક કોણ છે  અને કેમ કર્યો આપઘાત એ તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પાંચ લોકોના આપઘાતથી થરાદ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગેની વધુ વિગતો એવી છે કે, થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ બાળકો સાથે યુવક-યુવતીએ ઝંપલાવ્યું હોવાની નગરપાલિકા ફાયરવિભાગને જાણ કરાતાં પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ પછી અન્ય એક બાળકની લાશ પણ મળી આવી હતી. 


સૂત્રો પ્રમાણે,  વાવ તાલુકાની યુવતીએ પોતાના પ્રેમી અને સંતાનો સાથે આપઘાત કર્યો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે.  ત્રણ બાળકોની લાશ મળ્યા પછી સતત શોધખોળ પછી આજે વહેલી સવારે યુવક-યુવતીની લાશ પણ મળી આવી હતી. સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.