Corona Case: વિશ્વમાં ફરી કોરોનાએ માંથુ ઉચક્યું છે અને નવા આંકડા લોકોને ડરાવી રહ્યા છે. હવે કોરોનાનો નવો વેરિએન્ટ  JN.1 સામે આવ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે. કેરળના પ્રવાસે ગયેલા મહેસાણાના બે વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે. મહેસાણા તાલુકાના દેદીયાસણ ગામના બે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર એલર્ટ થયું છે. 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણા જિલ્લામાંથી કેરળના પ્રવાસે ગયેલા ત્રણ પૈકી બેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. હાલમાં કોરોના પોઝિટિવ દંપત્તિને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું છે.


અમદાવાદમાં કોરોનાના હાલ 7 પોઝિટિવ કેસ છે. 15 વર્ષ થી 60 વર્ષના દર્દીઓ હાલ કોવિડ પોઝિટિવ છે. 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે. 3 પુરુષ, 4 મહિલા કોવિડ પોઝિટિવ છે. નોંધનીય છે કે તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી  છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેનો 28 તારીખ સુધી રિપોર્ટ આવે તેવી શક્યતા છે. જોધપુર, પાલડી, અને ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.


ગાંધીનગરમાં પણ આજે મળ્યો વધુ એક કોરોના કેસ


ગુજરાતમાં કોરોના વાયરસે ફરી દેખા દિધી છે જેના પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના કેસ મળ્યો છે. સેકટર-3માં રહેતા 57 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી 57 અને 59 વર્ષીય બે મહિલા દક્ષિણ ભારતના પ્રવાસમાં જઇને આવ્યા બાદ કોરોના સંક્રમિત થઇ હતી. જે બાદ આરોગ્ય તંત્ર આ બંન્ને કેસને લઇને દોડતું થયું હતું. બન્ને પોઝિટિવ બહેનોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે ત્યારે પ્રવાસમાં ગયેલી અન્ય પ્રવાસીઓને સ્ટ્રેસ કરવાનું કામ પણ ગાંધીનગર કોર્પોરેશનની સાથે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1ને કેરળમાં સમર્થન મળ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે.



દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં  એક્ટિલ  કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 321 થઈ ગયો છે. આ સિવાય દેશમાં કોવિડ-19 કેસની સંખ્યા 4.50 કરોડ પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,44,70,346 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે કેસમાં મૃત્યુ દર 1.19 ટકા છે. ઉલ્લેખનિય છે કે,  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.