પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લામાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાંતિજના રામપુરા ગામના ખરબામાંથી દાટેલી મહિલાની લાશ મળી આવી છે. આશરે 45 વર્ષીય મહિલાને રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં બનાવેલ રામદેવપીરના મંદિર પાછળના ભાગેથી લાશ મળી આવી છે.


અજાણી મહિલાની હત્યા કરી લાશને મકાનના પાયામાં નાંખી ઉપર માટી નાંખી દાટી દેવાઈ હતી. રામદેવપીરના મંદિર પાછળથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢી હતી.

અજાણી મહિલાની લાશના જમણા હાથમાં ચૌહાણ એલ.જે. લખેલુ જણાયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી FSLઅને ડોગ સ્કોર્ડની મદદ લઇ તપાસ હાથ ધરી છે. અજાણી મહિલાની હત્યા સ્થળ પર કરાઇ કે હત્યા કરી લાશ અહીં દાટવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે અજાણી મહિલાની લાશનો વાલી વારસો શોધવા માટે તજવીજ હાથ ધરી છે.