નવી દિલ્હી:  ભારતે પાડોસી દેશોને મહત્વ આપવાની પોતાની નિતિ હેઠળ ગુરુવારે નેપાળને કોવિડ-19ની રસીના 10 લાખ ડૉઝ પહોંચાડ્યા હતા. નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલીએ વેક્સીનનો જથ્થો મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો.


કેપી ઓલીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માનું છું કે, જેમણે મુશ્કેલીના સમયે નેપાળને કોરોના વેક્સીનના 10 લાખ ડોઝ આપ્યા છે. જ્યારે તે પોતાના દેશના લોકો માટે રસીકરણ કરી રહ્યા છે.



અધિકારીઓએ જણાવ્યું કે, નેપાળમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ બલુવતારમાં પ્રધાનમંત્રી નિવાસ પર એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને રસીના ડોઝનો જથ્થો સોંપ્યો હતો. આરોગ્યમંત્રી હ્રદયેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓ, કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓને રસી આપવામાં આવશે.

સવારે એર ઈન્ડિયાનું એક વિમાન ભારતમાં નિર્મિત કોવિડ-19 વેક્સીનનો પ્રથમ જથ્થો લઈને નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યું હતું. ત્યાંથી કાઠમાડું પહોંચાડવામાં આવ્યો હતો.

નેપાળે ગત સપ્તાહમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત, ઓક્સફોર્ટ-એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ રસીના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી.