Political Crisis In Pakistan: પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરુ બની રહ્યું છે. આ વચ્ચે બધાની વચ્ચે અટકળો ચાલી રહી છે કે ઈમરાન ખાન રાજીનામું આપશે. આ અટકળોને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને આઈએસઆઈના ડીજી લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ ઈમરાન ખાનને મળવા પહોંચ્યા.
 
જો કે આંતરિક મામલા મંત્રી શેખ રશીદે દાવો કર્યો છે કે, રાજીનામાનો સવાલ જ ઉભો નથી થતો. છેલ્લા બોલ સુધી ઈમરાન ખાન લડતા રહેશે. તેમણે કહ્યું કે ઈમરાન ખાન દેશને સંબોધિત કરશે અને આ દરમિયાન પત્ર વિશે પણ વાતચીત કરશે.


ઈમરાને ગત દિવસોમાં દાવો કર્યો હતો કે તેમની સરકારને પાડવા માટે વિદેશમાંથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે એ વાત પર ભાર મુક્યો છે કે આ વાતની સાબિતી માટે તેમની પાસે એક પત્ર છે. ફવાદ ચૌધરીએ પણ દાવો કર્યો કે, ઈમરાન ખાન છેલ્લા બોલ સુધી રમનાર ખેલાડી છે. રાજીનામું નહીં આપે. મેદાન જામશે દોસ્તો પણ જોશે અને દુશ્મનો પણ.


પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના નેતા વિપક્ષ અને પીએમએલ એનના નેતા શહબાજ શરીફે આજે ફરી એકવાર રાજીનામાની માગ કરી છે. શરીફે કહ્યું કે જ્યારે તેઓ બહુમતી ગુમાવી ચૂક્યા છે તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.


જણાવી દઈએ કે ઈમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. આ વચ્ચે ઈમરાન ખાનના કાયદા મંત્રી ફારુક નસીમ અને આઈટી મંત્રી અમીનુલ હકે રાજીનાું આપવાની જાહેરાત કરી છે. બન્ને નેતા ઈમરાન ખાનની સહયોગી પાર્ટી MQMના છે. આ બન્ને નેતાના રાજીનામા બાદ ઈમરાનની મુશ્કેલી વધી ગઈ છે.


25 માર્ચે વિપક્ષી દળોએ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. પાકિસ્તાનની 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ખાનની પાર્ટીના 155 સભ્યો છે અને સત્તામાં રહેવા માટે તેને ઓછામાં ઓછા 172 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.