અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 19મી જૂને યોજાવાની છે. આ પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસે ફરી સિનિયર નેતાઓનો સહારો લીધો છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોની જવાબદારી વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયાને સોંપવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની જવાબદારી ગૌરવ પંડ્યા અને નારણ રાઠવાને સોંપાઈ છે. એવી જ રીતે મધ્ય ગુજરાતના ધારાસભ્યોની જવાબદારી ભરતસિંહ સોલંકીને શિરે છે, તોઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને સી.જે.ચાવડાને જવાબદારી સોપવામાં આવી છે.


એટલું જ નહીં કોંગ્રેસના ધારાસભ્યોને અલગ અલગ ગ્રૂપમાં રાખવામાં આવી રહ્યા છે, જેથી કોઈ વધુ ધારાસભ્ય તૂટે નહીં. સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને રાજકોટના નિલસીટી રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યા છે. પરેશ ધાનાણી , લલિત વસોયા , લલિત કગથરા , અને મોહમદ જાવેદ પીરજાદા ગઇકાલે રાત્રે રાજકોટ જ રાજકોટ પહોંચી ગયા હતા. અન્ય ધારાસભ્યો આજના દિવસે રાજકોટ પહોંચશે.



આ સિવાય આણંદના ધારાસભ્યોને ત્યાં ફાર્મ હાઉસમાં રાખવલામાં આવ્યા છે. ઈન્દ્રજિતસિંહ પરમાર, કાંતિભાઈ પરમાર , કાંતિભાઈ સોઢા, પૂનમભાઈ પરમાર, નટવરસિંહ ઠાકોર, નિરંજન પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, કાળુસિંહ ડાભી અને અજીતસિંહ ડાભીને ફાર્મ હાઉસ ખાતે રખાયા છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ થવાનું શરૂ થઈ ગયું છે. ગુરુવારે બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી શુક્રવારે વધુ એક ધારાસભ્યે રાજીનામું ધરી દીધું છે. આમ, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે.