Congress Election Committee: કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સોમવારે (4 સપ્ટેમ્બર) કોંગ્રેસે તેની ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. જેમાં 16 નેતાઓના નામ સામેલ છે.  જેમાં ગુજરાતમાંથી મધુસુધન મિસ્ત્રી અને અમી યાજ્ઞીકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


આ સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, મધુસુદન મિસ્ત્રી, એન. ઉત્તમ કુમાર રેડ્ડી, ટીએસ સિંહ દેવ, કેજે જિયોગ્રે, પ્રીતમ સિંહ, મોહમ્મદ જાવેદ, અમી યાજ્ઞિક, પીએલ પુનિયા, ઓમકાર માર્કમ અને કેસી વેણુગોપાલ.






I.N.D.I.A ગઠબંધને એકસાથે ચૂંટણી લડવાનો લીધો છે સંકલ્પ


કોંગ્રેસ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A નો ભાગ છે. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં તમામ પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાનો સંકલ્પ લીધો હતો. કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલા સંસદના વિશેષ સત્ર માટે રણનીતિ ઘડવા માટે કોંગ્રેસે પણ બેઠક બોલાવી છે. 


મલ્લિકાર્જુન ખડગે યોજવાના છે મહત્વની બેઠક


કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટી 18-22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્ર પહેલા મંગળવારે સાંજે 5 વાગ્યે નવી દિલ્હીમાં 10 જનપથ ખાતે સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજશે. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાત્રે 8 વાગ્યે તેમના નિવાસસ્થાને સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી દળોની બેઠક યોજશે.


કેસી વેણુગોપાલે કહ્યું કે નેતાઓ આગામી સત્રની રણનીતિ પર ચર્ચા કરશે. આ સાથે તેમણે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગે 16 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ, તેલંગાણામાં નવનિર્મિત કાર્ય સમિતિની પ્રથમ બેઠક બોલાવશે. તમામ CWC સભ્યો, PCC પ્રમુખ, CLP નેતાઓ અને સંસદીય પક્ષના પદાધિકારીઓ તેમાં ભાગ લેશે.


સંસદમાં સરકારે 18-22 સપ્ટેમ્બર પાંચ દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં પાંચ નવા કાયદા ઘડવા પર સરકારની નજર છે તેવું નિષ્ણાતો દ્વારા કહેવામાં આવે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 'એક દેશ, એક ચૂંટણી'નો વિરોધ કરતા કહ્યું છે કે, વર્ષમાં ઓછામાં ઓછા ચાર વખત ચૂંટણી થવી જોઈએ. એક દેશ, 20 ચૂંટણીનું સૂત્ર આપતાં કેજરીવાલે આગળ કહ્યું કે, જો દર ત્રણ મહિને ચૂંટણી થશે તો નેતાઓ જનતાની સામે આવશે.