Delhi Excise Policy Case: દિલ્હીમાં કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાના જામીન પર આજે નિર્ણય આવશે. દિલ્હી હાઈકોર્ટે આ મામલાની સુનાવણી દરમિયાન નિર્ણય અનામત રાખ્યો હતો, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે 5 જૂન, સોમવારે નિર્ણય સંભળાવવામાં આવશે. સિસોદિયાએ પત્નીની નાદુરસ્ત તબિયતને ટાંકીને હાઈકોર્ટમાં વચગાળાના જામીનની માંગણી કરી હતી. આ નિર્ણય પહેલા જાણી લો કેસની 10 મોટી વાતો...





  • મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ 6 અઠવાડિયા માટે વચગાળાના જામીનની માંગ કરી છે, જેના પર જસ્ટિસ દિનેશ કુમાર શર્માની કોર્ટ ચુકાદો સંભળાવશે.

  • દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાએ કોર્ટને કહ્યું છે કે તેઓ તેમની બીમાર પત્નીની સંભાળ રાખવા માટે એકમાત્ર કસ્ટોડિયન છે. જેના આધારે વચગાળાના જામીન માંગવામાં આવ્યા છે.

  • સિસોદિયા તરફથી હાજર રહેલા એડવોકેટ મોહિત માથુરે કોર્ટને જણાવ્યું કે કોર્ટના નિર્દેશ મુજબ સિસોદિયાને તેમની પત્નીને મળવા લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઘરે પહોંચતા પહેલા જ તેમની પત્નીની તબિયત બગડી હતી, જેને પગલે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • સિસોદિયાને હાઈકોર્ટ દ્વારા તેમની પત્નીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જેલમાંથી બહાર આવતી વખતે સિસોદિયા મીડિયાકર્મીઓ અથવા તેમના પરિવારના અન્ય સભ્યો કે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરશે નહીં. ફોન અથવા ઇન્ટરનેટનો ઉપયોગ પણ નહી કરે.

  • દિલ્હી હાઈકોર્ટે શનિવારે સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો અને સિસોદિયાની પત્ની સીમાની સ્વાસ્થ્ય સ્થિતિ પર એલએનજેપી હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

  • સુનાવણી દરમિયાન એડવોકેટ ઝોહેબ હુસૈન ED માટે હાજર રહ્યા હતા, પુરાવા સાથે ચેડા થવાના ભયથી સિસોદિયાની વચગાળાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

  • અગાઉ 30 મેના રોજ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમની સામેના આરોપો ખૂબ ગંભીર છે. આથી તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

  • નવેમ્બર 2021માં આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં આબકારી નીતિ લાગુ કરી. જે બાદ આ નીતિને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા, તે પછી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.

  • ED સિવાય CBIએ પણ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે, આ કેસમાં હાઈકોર્ટમાંથી વચગાળાની જામીન અરજી જુલાઈ સુધી પેન્ડિંગ રાખવામાં આવી છે.

  • મનિષ સિસોદિયાની પૂછપરછ બાદ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.