રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે બે કિશોરના ડૂબી જતા મોત થયા છે. બંન્ને મૃતક કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. ગઈકાલે રાત્રીના સમયે બંન્ને કિશોર ગુમ થયા હોવાનું સામે આવ્યું હતુ. આજે સવારે બંન્નેના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહને તાત્કાલીક ધોરણે પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


વાસાવડમાં આવેલી વાસાવડી નદીમાં આવેલી કુંભારી પાટના ઉંડા પાણીમાં ગઈકાલે બે પિતરાઈ ભાઈઓ નાહવા પડ્યા હતા. યાસીન મજીદભાઈ બાવનકાનુ અને મોહીન રજાકભાઇ કારવા બન્નેનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જેમાં મોહીન રજાકભાઇ કારવા નવાગઢથી વાસાવડ તેમના મામાના ઘરે આવ્યો હતો. 


બંને કિશોર પિતરાઇ ભાઇ હતા.  મોહીન પરિવારમાં એકનો એક પુત્ર હતો. બંને ઘરેથી કહ્યા વગર નાહવા જતા રહ્યા હતા.  સાંજ સુધી પરત નહીં ફરતા પરિવાર દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. જે દરમિયાન સવારે બન્નેના મૃતદેહ નદીમાંથી મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.  


Amreli: ખાંભાના ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો, ચાર દિવસમાં બીજી ઘટના


અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. કાનાભાઈ ભમર નામના ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂત વાડીમાં સુતા હતા અને દીપડો આવી જતા હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાણીયા ગામમાં 4 દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના છે. ખાંભા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 16 દિવસમાં વન્યપ્રાણીના હુમલાની 7 મી ઘટના સામે આવી છે.


ગઈકાલે અમરેલીના ધારી તાલુકાના જુના ચરખા ગામના યુવક પર સિંહે હિમલો કર્યો હતો. 19 વર્ષીય સુરેશ નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘેટા બકરાનો શિકાર કરવા આવેલા સિંહની આડે યુવક આવતાં તેના પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.


થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડો ઘરમાં ઘૂસીને બે વર્ષના બાળકને ઝાડીઓમાં ઉઠાવી ગયો હતો. જોકે, પરિવાર જાગી જતાં હિંમત રાખી હાકલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી. જેને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. દીપડો ભાગી જતાં પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, પણ બાળકનો જીવ બચી શક્યો નહોતો. તેના પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે પાંચ માસના માસૂમનો શિકાર કર્યો હતો. જ્યારે એ જ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં ત્રણ વર્ષનો માસૂમનો જીવ લીધો હતો.