Rajkot News: જામનગર બાદ હવે રાજકોટમાં અંધશ્રદ્ધા કિસ્સો સામે આવ્યો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ લોકો બિમારીમાં ડોક્ટર પાસે જવાને બદલે ભુવા પાસે જઈ રહ્યા છે. જેના કારણે પોતાના વ્હાલસોયાને ગુમાવવાના વારા પણ આવ્યા છે. રાજકોટમાં આવી જ રીતે અંધશ્રદ્ધામાં પરિવારે પુત્ર ગુમાવ્યો છે.


ભુવાની સલાહ બાદ જનેતાએ 24 દિવસના માસૂમને અગરબત્તીના ડામ આપતા મોતને ભેટ્યો છે. માસુમ બાળકને પેટના ભાગે બે ડામ આપતાં માસુમની તબિયત લથડી હતી. એક અઠવાડિયાથી બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આજે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના જેતપુર શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.


તો બીજી તરફ બાળકના પિતાએ કહ્યું કે, અગરબત્તી પડી જવાના કારણે બાળકનું મૃત્યુ થયું છે. બાળકને શ્વાસની તકલીફ હતી જેના કારણે માનતા રાખી હતી. બાદમાં બાળકના પિતાએ એમ પણ કહ્યું કે, બાળક બીમાર હોવાના કારણે માનતા રાખી હતી જેથી આરતી ઉતારતા હતા. જો કે, તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.


તો બીજી તરફ જામનગરના હજામચોરામાં અંધશ્રદ્ધાના કીસ્સામાં દીકરીની હત્યાનો મામલો આવ્યો હતો. ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે. સગા મોટા-ભાઈ બહેને ૧૫ વર્ષની નાની બહેનને ધાર્મિક વિધિના નામે અંધ શ્રધ્ધામાં પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચાવી દીધી છે. દાહોદના ખેત મજૂર બે મોટા ભાઈ બહેનએ ૧૫ વર્ષની નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દીધી હતી. ગઈકાલ બનેલ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાની હકિકત સામે આવી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં અંધશ્રદ્ધાના કારણે કોઈનો જીવ ગયો હોય. આ પહેલા પણ ઘણી ઘટનાના અંધશ્રદ્ધાના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.


રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, આ સીલસીલો હજુ પણ યથાવત છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરે અનેકનો ભોગ લીધો છે. છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે ફરી ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે.


જયેશ જેઠવા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન ઘોઘા સર્કલ પાસે ઢોર આડું ઉતરતા બાઈક સ્લીપ મારી હતી. જે બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવાની લાંબી સારવાર બાદ આજે હોસ્પિટલમાં દમ તોડ્યો છે. મૃતક યુવાન અકવાડા ગામે રહે છે. આ બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ભાવનગરમાં હજી પણ કેટલા નિર્દોષ લોકોના જીવ રખડતા ઢોરના કારણે જશે તે કહેવું મુશ્કેલ છે.