રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી વિવાદોમાં આવી છે, આ વખતે ઉચાપતની ફરિયાદના કારણે વિવાદમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.  આત્મીય યુનિવર્સિટીમાં તપાસમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનો ખુલાસો થયો હતો. ચેરિટી કમિશનરની તપાસમા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.  પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આત્મીય યુનિવર્સિટીમાં 32.26 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.


કરોડો રૂપિયાના કૌભાંડનો ખુલાસો થતા ત્યાગ વલ્લભ સ્વામી સહિતના લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ત્યાગ વલ્લભ સ્વામી સહિત મળતિયાઓ ફરાર થયા હતા. ચેરિટી કમિશનરની તપાસમાં ખુલાસો થયો હતો કે ટી.વી.સ્વામીએ સત્સંગીઓના નામે 20 બેન્ક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આ 20 ખાતામાં 9 જેટલા ખાતા સાધ્વીજીના નામે હોવાની આશંકા છે. એટલું જ નહી આ તમામ બેન્ક એકાઉન્ટ્સના દસ્તાવેજો પણ ત્યાગ વલ્લભ સ્વામી પોતાની પાસે રાખતા હતા.


 રાજકોટ સોખડાના ત્યાગ વલ્લભ સ્વામી ઉર્ફે ટીવી સ્વામીનું વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો હતો. ત્યાગ વલ્લભ સ્વામીએ વડોદરાના અસોજમાં પોતાનું જ બીજું નામ ધારણ કરી જમીન ખરીદી હતી. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદી કરી છે. અલગ અલગ જમીનના દસ્તાવેજમાં બંન્નેના નામ છે. વડોદરા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન ખરીદી છે. આસોજ, દશરથ, મોકસી અને સોખડા સહિતના ગામડાઓમાં જમીનની ખરીદી કરી છે.


નોંધનીય છે કે આણંદના બારકોલમાં રહેતા પવિત્ર હર્ષદરાય જાનીએ ઉચાપત થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. તેમને આત્મીય યુનિવર્સિટીના સાધુ ત્યાગ વલ્લભદાસ, ધર્મેશ જીવાણી અને તેમની પત્ની વેશાખીબેન જીવાણી અને નિલેશ મકવાણા વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટમાં ચાલતી સંસ્થામાં 33 કરોડ રૂપિયાની ઉચાપતમાં બેન્કમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે. તાલુકા પોલીસમાં આત્મીય યુનિવર્સિટીના સાધુ ટીવી (ત્યાગ વલ્લભ સ્વામી) ધર્મેશ જીવાણી, વેશાખી ધર્મેશ જીવાણી વિરુદ્ધ ફરિયાદ થતા ભારે ચર્ચા જાગી છે.


ખાસ વાત છે કે, આ આત્મીય યૂનિવર્સિટી સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલે છે. ફરિયાદી પવિત્ર જાનીએ હરીપ્રસાદ સ્વામીના તાબામાં તેઓએ સન્યાસ લીધો હતો અને તેઓ 28 વર્ષ હરિપ્રસાદ સ્વામીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા છે.