રાજકોટઃ  કોંગ્રેસ બાદ AAPનું પણ નરેશ પટેલને આમંત્રણ મળ્યું છે. AAP નેતા ઇસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે કે, નરેશ પટેલ ખૂબ જ સમજદાર અને સામાજિક આગેવાન છે. નરેશભાઈને ખબર છે કે, ભાજપ ભ્રષ્ટાચાર કરે છે, પેપર ફોડે છે, લોકોને લૂંટે છે અને ખેડૂતોને પાયમાલ કરે છે. નરેશભાઈ જેવા અગેવાનને પણ આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરે છે. નરેશભાઈ પટેલ જેવા અનેક સામાજિક આગેવાનો આપમાં આવવાના હોવાનો ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે. આજે નરેશ પટેલ સાથે ઈસુદાન ગઢવી બંધ બારણે બેઠક કરે તેવી શકયતા છે.



ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલનને વેગીલું બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. આ માહોલમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને કૉંગ્રેસમાં જોડવા આમંત્રણ આપ્યું છે. ત્યારે નરેશ પટેલે આજે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી કે, મને હજી લેટર મળ્યો નથી. આવા આમંત્રણ દરેક પક્ષમાંથી આવે છે. હું યોગ્ય સમયે નિર્ણય લઈશ. પાટીદાર આંદોલન મુદ્દે કહ્યું કે, આંદોલન કરવા મુદ્દે મને કોઈ ખબર નથી. કેસ સરકાર જલદીથી પરત ખેંચે તે મુદ્દે મારે મુખ્યમંત્રી સાથે સતત સંપર્ક ચાલું છે. તેમજ આ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. 

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને હાર્દિક પટેલે પત્ર લખી કોંગ્રેસમાં સક્રિય થવા આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલેપાટીદાર સમાજ સાથે વર્તમાન સરકાર અન્યાય કરતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પાટીદાર ખેડૂત અને વેપારીઓને ભાજપ સરકાર પરેશાન કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હાર્દિક પટેલે સત્તા પક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બન્યો હોવાનો આરોપ પણ મૂક્યો છે.