રાજકોટઃ રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં જિલ્લા કલેક્ટર લોકડાઉનના નિયમો આકરા બનાવી શકે છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેની જાહેરાત કરી દેવાઇ છે. પહેલા એવી અટકળો હતી કે, દુકાનો  સવારે 7 થી 4 કલાક સુધી જ ખુલ્લી રાખવામાં આવે તેવો નિર્ણય લેવાશે. જોકે, કલેક્ટરે આ પ્રકારની કોઈ જાહેરાત ન કરતાં આ વાતો પણ અફવા સાબિત થઈ છે.  રાજ્યમાં અન્ય સ્થળે તમામ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો આદેશ અપાયો છે ત્યારે આ નિર્ણય રાજકોટ જિલ્લાના દુકાનદારો માટે મોટા ફટકા સમાન સાબિત થાય તેમ હતો અને માંડ માંડ થાળે પડી રહેલા જનજીવનને પણ વ્યાપક અસર થાય તેમ હતી. કલેક્ટરે આ પ્રકારનો કોઈ નિર્ણય ન લેતા દુકાનદારોને રાહત થઈ છે.


કલેક્ટરે મંગળવારથી રાજકોટ જિલ્લામાં ચાની કિટલી અને પાનના ગલ્લા બંધ રાખવા નિર્ણય લીધો  છે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા આજે બપોરે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. જિલ્લા કલેક્ટરે  7 દિવસ માટે ચાની કિટલીઓ અને પાન ના ગલ્લા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થયો છે.