રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામના લોકોની જબરજસ્ત જાગૃતિ સામે આવી છે. ગામમાં કોરોનાના 2 કેસ આવતા ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. અનિડા ગામના લોકોએ પ્રધાનમંત્રીની વાતને સ્વિકારી છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ગોંડલના અનિડા ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.


નાના એવા ગામમાં કોરોનાને લઈને મોટી જાગૃતિ જોવા મળી રહી છે. 5 દિવસ સુધી ગામની તમામ દુકાનો તેમજ ગામ બંધ રહેશે. બહાર ગામથી લોકોને ગામમાં નહીં આવવાનું તેમજ ગામના લોકોને બહાર ન જવાનું નક્કી કરાયું છે. અનિડા ગામમાં કેસો વધે નહીં તેમજ આસપાસ ગામમાં વધતા કેસોને લઈને પોતાના ગામમાં ચેપ ફેલાઈ નહીં તે માટે સરપંચ તેમજ ગામના લોકોએ નિર્ણય કર્યો છે.

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જોકે દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 3036 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,796 એક્ટિવ કેસ છે.