પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરોટ ધાર્મિક સ્થળોના દર્શન શરૂ કર્યા. પ્રશાંત કોરોટ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર અને ખોડલધામ કાગવડમાં દર્શન કરી ધાર્મિક સ્થળોનો પ્રવાસ શરૂ કર્યો. જ્યાં સોશલ ડિસ્ટંસના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. પ્રશાંત કોરોટ સાથે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં જ સોશલ ડિસ્ટંસના નિયમોનો ભંગ કરાયો હતો.


પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ધાર્મિક યાત્રાએ નીકળતા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં તમામ એકસાથે જ મંદિરમાં દર્શન કર્યા. આટલું જ નહીં મોટી સંખ્યામાં લોકોએ ટોળે વળી પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ સાથે મુલાકાત પણ કરી. જયેશ રાદડિયા અને પ્રશાંત કોરોટ માસ્ક વગર કેમેરામાં કેદ થયા હતા. જ્યાં નેતાઓએ જ માસ્ક નથી પહેર્યા તો હાજર કાર્યકરો તો માસ્ક ન જ પહેરે. એક તરફ પોલીસ જો સામાન્ય જનતા નાક નીચે પણ માસ્ક હોય તો દંડ વસૂલે છે. તો આ નેતાઓ સામે પોલીસ કેમ નથી કરતી કાર્રવાઈ?.


મંદિર પ્રશાસન પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાશે તેવા દાવા કરી રહ્યું છે. પરંતું નેતાઓ આવે અને ભીડ એકઠી કરે તો કેમ કોવિડ ગાઈડલાઈનનું પાલન નથી કરાવાતું. ક્યાં ગઈ હતી બાહોશ પોલીસ. શું પોલીસ આ વીડિયો બાદ માસ્ક નહીં પહેરનારા તથા સોશલ ડિસ્ટંસનો ભંગ કરનારા ભાજપના નેતા અને કાર્યકરો સામે કાર્રવાઈ કરશે ખરી?


રાજકોટમાં કોરોના નિયમોના ઉડાવ્યા ધજાગરા


કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ખુદ શાસક પક્ષના યુવા કાર્યકર્તાઓ જ નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. રાજકોટમાં ગ્રીનલેંડ ચોકડી પર પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટના આગમન પહેલા નિયમોનો સરેઆમ ભંગ થયો અને પોલીસ તમાશો જોતી રહી. અનેક કાર્યકર્તાઓ માસ્ક વગરના નજરે પડ્યા હતા.


એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજાએ કાર્યકર્તાઓને નિયમ વિશે પુછ્યુ તો કાર્યકર્તાઓ તુરંત માસ્ક પહેરવા લાગ્યા. પરાક્રમસિંહ જાડેજા અને એબીપી અસ્મિતાના કેમેરામેનને જોતા જ ભાજપના કાર્યકર્તાઓ નિયમ પાડવા મજબુર થયા. તો બીજી તરફ પોલીસે ત્યાંથી કોઈપણ પ્રકારનો દંડ વસુલ્યો નહી. જો કે પ્રશાંત કોરાટ પહોંચે તે પહેલા કાર્યકર્તાઓ માસ્ક પહેરી ચૂક્યા હતા.


હદ તો ત્યારે થઈ જ્યારે માસ્ક ન પહેરનાર યુવા ભાજપના સ્થાનિક નેતાને આ જ મુદ્દે સવાલ પુછાયો તો એબીપી અસ્મિતાના  સંવાદદાતા પરાક્રમસિંહને આ નેતા રિપોર્ટિંગ કઈ રીતે કરવુ તેનુ પોતાની પાસે હતુ તેવુ ખોટુ જ્ઞાન આપવા લાગ્યા. પૃથ્વીસિંહ નામના ભાજપના આ સ્થાનિક નેતા એ ન ભુલે કે નિયમોનું પાલન તમે નહીં કોઈપણ નેતા નહીં કરે તો એબીપી અસ્મિતા તેનું રિપોર્ટિંગ કરતુ હતુ અને કરતુ રહેશે.