રાજકોટ: ભાર વગરનું ભણતર કદાચ આજકાલ ખોટું સાબીત થઈ રહ્યું છે. કારણ કે,ઘણા વિદ્યાર્થીઓએ પોતાની જિંદગી ટૂંકાવી છે. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. હવે આવી જ ઘટના  લોધીકા તાલુકામાં સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિડિયો બનાવી આપઘાત કરી લીધો છે. ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત પહેલા વિડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જે બાદ પરિવાર સાથે સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી હતો. વાતની ગંભીરતાને લઈને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.


સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.  હાલમાં શિક્ષણ વિભાગની ટીમ સ્કૂલ પર પહોંચી છે. શિક્ષકો સાથે શિક્ષણ વિભાગની ટીમ ચર્ચા કરી રહી છે.  ચાર લોકોની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. ટીમ દ્વારા વિદ્યાર્થીના પેપરની તપાસ કરવામાં આવી છે. 


તપાસ ટીમ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો ના નિવેદન નોંધવામાં આવ્યા છે. તપાસ કરનાર ટીમના સદસ્ય અલ્પા જોટાગિયાએ કહ્યું કે,
તપાસ કરી છે, નિવેદન નોંધ્યા છે જે રિપોર્ટ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવશે. પોલીસની તપાસ પોલીસ કરશે જે હકીકત હશે તે સામે આવશે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું પણ નિવેદન નોંધવામાં આવશે.


વિદ્યાર્થીની આત્મહત્યા મુદ્દે પરિવારજનોની પ્રતિક્રિયા


કિશોરના મોતને લઈને પરિવરમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે પરિવારે કહ્યું કે, આરોપી શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. શિક્ષકોએ ફરીથી અમારા દીકરાને સ્કૂલે બોલાવ્યો હતો. અમને ન્યાય મળવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, બપોરે 12.30થી 1 વાગ્યાની વચ્ચે આત્મહત્યા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, શિક્ષકોએ અડધો કલાક સ્કૂલમાં બેસાડ્યો હતો. પોલીસની ધમકી આપીને દબાણ કર્યાનો પરિવારજનોનો આરોપ  લગાવ્યો છે.


વિદ્યાર્થીના પરિવારજનો સ્કૂલ ખાતે પહોંચ્યા 


વિદ્યાર્થીના કાકાએ કહ્યું અમારો દીકરો હોશિયાર હતો. શિક્ષકો દ્વારા તેને પોલીસની ધમકી આપવામાં આવી હતી જેના કારણે આ પગલું ભર્યું છે. આત્મહત્યા પહેલા તેમએ સાથી વિદ્યાર્થી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે,  મને મજા નથી આવતી. સ્ફુલ છૂટ્યા બાદ શિક્ષકોએ વિદ્યાર્થીને અડધી કલાક બેસાડી રાખ્યો હતો. તેને ધોરણ 10મા પણ સારા માર્ક્સ આવ્યા હતા. અમે અમારો દીકરો ગુમાવ્યો બીજા કોઈનો ગુમાવે તે માટે શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. અમે ખેતી અને પશુપાલનનું વ્યવસાય કરીએ છીએ.


આ પણ વાંચો...


રાજસ્થાનના ધૌલપુરમાં ભયંકર રોડ અકસ્માત, ટેમ્પો સાથે બસ ટકરાતા 8 બાળકો સહિત 11નાં ઘટનાસ્થળે જ મૃત્યુ