રાજકોટ: વર્ષ 2017 મા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર પર હુમલાના પ્રયાસના કેસ મામલે આજે મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત સહિત ૭ શખ્સોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે આ ચુકાદો આપ્યો છે. નોંધનીય છે કે, 2017મા ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ પર હુમલો થયા બાદ કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પૂર્વ મુખ્યમંત્રીના ઘર નજીક પહોંચ્યા હતા. જે બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


આ તમામ નેતાઓને આજે રોજ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા


૧. મહેશભાઈ રાજપુત, નેતા કોંગ્રેસ


૨. જગદીશભાઈ રબારી,નેતા કોંગ્રેસ 


૩. ઈન્દ્રિનલ રાજગુરુ. કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય.


૪.ભાવેશભાઈ બોરીચા. યુવા કોંગ્રેસના અગ્રણી


૫. તુષારભાઈ પટેલ. કોંગ્રેસ નેતા


૬. મિતુલભાઈ દોંગા. કોંગ્રેસના પાટીદાર નેતા


૭. હેમતભાઈ વિરડા. નેતા કોંગ્રેસ.


લોકસાહિત્યકાર દેવાયત ખવડે સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપવા કરી જામીન અરજી


રાજકોટ: લોકસાહિત્યકાર દેવાયત ખવડે વચગાળાની જામીન અરજી કરી છે. 25 દિવસના વચગાળાના જામીન આપવા દેવાયત ખવડે અરજી કરી છે. શિવરાત્રી અને લગ્ન પ્રસંગમાં સ્ટેજ કાર્યક્રમ હોવાથી જામીન આપવા અરજી કરવામાં આવી છે. દેવાયત ખવડે સેશન્સ કોર્ટમાં આ અરજી કરી છે. તો આ અરજી મામલે કોર્ટે પોલીસ પાસે અભિપ્રાય માંગ્યો છે. પોલીસ અભિપ્રાય બાદ જામીન અરજી પર સૂનાવણી થશે. નોંધનીય છે કે, દેવાયત ખવડે રાજકોટમાં એક યુવાનને માર માર્યો હતો જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.


 વિવાદાસ્પદ ભાષણ મામલે વિરમગામના MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર


જામનગરઃ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.  સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.


4 નવેમ્બર 2017માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું.  આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારબાદ જામનગરના પંચકોશી એ ડિવીઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.  આ કેસ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.