નોંઘનીય છે કે, સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને રાજકોટના નિલસીટી ક્લબ ખાતે રાખવાના છે. ગઈ કાલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા,લલિત કગથરા આ ક્લબ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે આ પ્રતિક્રિયા આપી હતી. વસોયાએ જણાવ્યું હતું કે, અમે ભાજપમાં જવાના નથી. હવે કોઈ કોંગ્રેસમાં નારાજ નથી. રાજકોટના સ્થાનિક નેતા નારાજ નથી. લલિત કગથરાએ કહ્યું હતું કે, ભાજપ નામનો વાયરસ છે. આ વાયરસ અમારા ધારાસભ્ય બધું આપીને લઈ જાય છે.
ત્રણ ધારાસભ્યોના રાજીનામા પછી વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસે ફરી સિનિયર નેતાઓનો સહારો લીધો છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોની જવાબદારી વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયાને સોંપવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની જવાબદારી ગૌરવ પંડ્યા અને નારણ રાઠવાને સોંપાઈ છે. એવી જ રીતે મધ્ય ગુજરાતના ધારાસભ્યોની જવાબદારી ભરતસિંહ સોલંકીને શિરે છે, તો ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને સી.જે.ચાવડાને જવાબદારી સોપવામાં આવી છે.