રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સૌરાષ્ટ્રમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. આજે સુરેન્દ્રનગર, અમરેલી અને બોટાદમાં એક-એક કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. લીંબડી તાલુકાના ગેડી ગામે રહેતા તાલુકા પંચાયતના ૫૦ વર્ષીય ઉપપ્રમુખને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 76એ પહોંચ્યો છે.


અમરેલી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. બગસરાના વિજય ચોક વિસ્તારની 51 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગત 10 તારીખે મહિલા અમદાવાદથી બગસરા આવ્યા હતા. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 થઈ છે. તેમજ 4 દર્દીઓના કોરોનાથી મોત થયા છે, જ્યારે 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે અને હાલ 12 એક્ટીવ કેસ છે. બગસરાના વિજય ચોક વિસ્તારને કંટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

આજે બોટાદના કાનીયાડ ગામે કોરોના એક કેસ પોઝિટિવ કેસ આવ્યો છે. 45 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા બે દિવસ પહેલા મુંબઈથી આવેલ હોવાનું બહાર આવ્યું છે. સારવાર માટે ભાવનગરની સર-ટી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ 67 કેસો થયા છે. જેમાંથી બે લોકોના મોત થયા છે. જ્યારે 57 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 8 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.