રાજકોટ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 77 હજારને પાર પહોંચી ગઈ છે. તેની વચ્ચે રાજકોટથી દુખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં જીવલેણ વાયરસથી વધુ 15 લોકોના મૃત્યુ થયા છે. તમામ દર્દીઓ રાજકોટ સિવિલ કોવિડ કેર સેન્ટર માં સારવાર લઇ રહ્યા હતા.


રાજકોટ શહેરના 9 વ્યક્તિના, જિલ્લાના 2 અને અન્ય જિલ્લાના 4 લોકો મોત સાથે આજે કુલ 15 લોકોનાં મૃત્યુ થયા છે. એક મહિલાનો રિપોર્ટ આવે તે પહેલાંજ મોત નીપજ્યું હતું.

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3177 કેસ સામે આવ્યા છે, જેમાંથી 65 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યું છે.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા શનિવારના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 77,663 પર પહોંચી છે અને મૃત્યુઆંક 2767 પર પહોંચ્યો છે. જ્યારે 60,537 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.