રાજકોટ: ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લાના પ્રમુખ પદેથી દિલીપ સખીયાએ રાજીનામું આપી દેતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. દિલીપ સખિયાએ પોતે સ્વૈચ્છિક રીતે જ રાજીનામુ આપ્યું હોવાનું નિવેદન આપ્યું છે પણ બે દિવસ પહેલાં રાસાયણિક ખાતરના મુદ્દે ઉગ્ર વિરોધ બાદ સખિયાએ રાજીનામુ ધરી દેતાં ખરેખર દિલીપ સખીયાએ સ્વૈચ્છાએ રાજીનામુ આપ્યું કે તેમનો ભોગ લઈ લેવાયો એવો સવાલ પૂછાઈ રહ્યો છે.


દિલીપ સખિયાએ આ સરકારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનાં કામ ન થયાં હોવાનું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ સમર્થકે રાજીનામું આપવા અપીલ હતી તેથી હવે નવા કાર્યકરોને ચાન્સ આપવા માટે રાજીનામું આપ્યું  છે. આ ઉપરાંત તેમણે ખેડૂતોના ચેક ડેમ સહિતનાં કામ કરવા રાજીનામું આપ્યાનું નિવેદન પણ કર્યું છે.


દિલીપ સખિયાના રાજીનામાથી ખેડૂતો અને ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘમાં નવાજૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લાના પ્રમુખ દિલીપ સખીયાના અચાનક રાજીનામાથી અનેક તર્ક વિતર્ક પણ વહેતા થયા છે.