રાજકોટઃ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં પ્રેમની વેદી ઉપર એક પ્રેમીપંખીડાએ જીવ આપી દીધો છે. બે સંતાનોના પિતા એવા શખ્સને પડોશમાં રહેતી ૧૮ વર્ષીય અપરિણીત યુવતી સાથે પ્રેમ થઇ જતા લગ્ન કરવા શક્ય ન હોવાથી બન્નેએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા નાનકડાં ગામમાં અરેરાટી વ્યાપી છે.


જામવાડીમાં રહીને ખેતી કામ કરતા રાજુભાઇ પાલાભાઇ નામના ૨૪ વર્ષીય યુવાને પોતાની પ્રેમીકા અતુબેન દેવાભાઇ નામની ૧૮ વર્ષની યુવતી સાથે પોતાની વાડીમાં ગત મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં પશુઓને બાંધવાની ઓરડીમાં રસ્સી વડે ગળાફાંસો ખાઇ સજોડે જીવન ટુંકાવ્યું હતું.

મરણ જનાર યુવાન પરિણીત અને બે સંતાનાનો પિતા હતો. જેને પડોશમાં રહેતી ૧૮ વર્ષીય અપરિણીત યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો પરંતુ બન્નેને લગ્ન કરવા શકય ન હોવાથી સજોડે આપઘાત કરી લીધો હતો ઘટનાને લીધે બન્નેનો પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. બન્ને પરિવાર દ્વારા એક સાથે જ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.