Rajkot: લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવા અને આગળની રણનીતિ પર કામ કરવા માટે અત્યારથી તૈયાર છે, ત્યારે રાજકોટ ભાજપમાંથી એક કકળાટના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, રાજકોટ શહેર ભાજપનું સંગઠન જાહેર બાદ પહેલીવાર ભાજપમાં ભડકા જેવી સ્થિતિ ઉદભવી છે. શહેરના વોર્ડ નંબર ૧૦માં સંગઠનમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર ૧૦માં મહામંત્રી તરીકે મેહુલ નથવાણીની નિમણૂકનો ખુદ પક્ષાના કાર્યકર્તાએ જ વિરોધ કર્યો છે. પક્ષાના કાર્યકર્તાનો વિરોધ છે કે, મેહુલ નથવાણી વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને વોર્ડ નંબર ૧૦ની બેઠકમાં શિસ્તબદ્ધ પાર્ટીના લીરેલીરા ઉડાવ્યા હતા. આ ઘટનામાં કાર્યકર્તાઓએ કોર્પૉરેટરનો ઉધડો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વિવિધ મોરચાની જાહેરાત થયા બાદ આ વિરોધ ફાટી નીકળ્યો હતો અને બાદમાં નિમણૂકને સ્થગિત રાખી દેવી પડી હતી. આ પહેલા વોર્ડ નંબર 5માં પણ પક્ષનો આંતરિક વિરોધ જોવા મળ્યો હતો. કહી શકાય છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ શહેર ભાજપમાં ભડકો થયો છે.


 


ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જાણો કોને કોને આપી ટિકિટ ?


ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઇ અને વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહજી ઝાલાને ઉમેદવાર બનાવ્યા હતા. આવતીકાલે ઉમેદવારી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.


શા માટે કેસરીદેવસિંહની થઈ પસંદગી -


તેઓ વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભાજપના સનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તો વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.


કેસરીદેવસિંહની પક્ષમાં કામગીરી


ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહી હતી. દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક પર ભાજપને સત્તા મળી હતી. કોંગ્રેસના પીરજાદાની હાર માટે કેસરીદેવસિંહની રણનીતિ સફળ રહી હતી. આ ઉપરાંત તેઓ પક્ષમાં અનેક જવાબદારીઓ નીભાવી ચૂક્યા છે. તેઓ 2011થી ભાજપના સક્રિય સભ્ય છે. 2014, 2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ તેમણે સંભાળી છે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે.


કેસરીદેવસિંહની સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓ


કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. કેશરીદેવસિંહ અને આ તમામ કારણોથી જ સમગ્ર વાંકાનેરની જનતા તેમના પ્રિય નેતા અને રાજાને પ્રજાના પ્રતિનિધિ તરીકે જોવા ઈચ્છે છે. મહારાજા દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેશરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.


કોણ છે બાબુભાઈ દેસાઈ ?


2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા.બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. ઓલ્ડ SSC અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે. કન્યા કેળવણી માટે કાર્યરત છે. દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઉંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.


લોકસભાની આગામી ચૂંટણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મેદાને


2024 લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મેદાને આવ્યા છે  ગાંધીનગર લોકસભાની અંદર આવતા પદાધિકારીઓ સાથે આજે મુખ્યમંત્રીની બેઠક યોજાશે. જેમાં તમામ 7 વિધાનસભાના ધારાસભ્યોને બેઠકમાં હજાર રહેવા સૂચના આપવામાં આવી છે. આજે બપોરે મુખ્યમંત્રી યોજાશે ગાંધીનગર લોકસભાની બૃહદ બેઠક યોજશે. આજની બેઠકમાં મતદાર નોંધણી ઝુંબેશ, મતદાન મથકોમાં થનારા ફેરફાર અંગે ચર્ચા થશે. ઉપરાંત બેઠકમાં ગાંધીનગર લોકસભા-હરીયાળી લોકસભા માટે વધુ વૃક્ષો રોપવા લક્ષ્યાંક આપવામાં આવશે. બેછકમાં ગાંધીનગર લોકસભામાં રહેતાં શહેર તેમજ જીલ્લાના પદાધિકારીઓ હાજર રહેશે. તમામ 7 વિધાનસભા સીટના પ્રભારીઓ, તમામ 7 વિધાનસભા સીટના બી.એલ.ઓઓ પણ બેઠકમાં હાજર રહેશે. તમામ વોર્ડ - મંડળના પ્રમુખો - મહામંત્રીઓ અને તમામ કાઉન્સિલરો તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્યો હાજર રહેશે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial