રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આજે કોરોના સાત કેસ નોંધાયા છે, જેમાંથી બે શહેરમાં અને પાંચ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જસદણના શિવરાજપુર ગામે 5 કોરોના પોઝિટિવ આવ્યા છે. એક જ પરિવારના 5 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. 3 પુરુષ અને 2 મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આમ, રાજકોટ ગ્રામ્યનો કોરોના પોઝિટિવ આંક 42 પહોંચ્યો છે.


રાજકોટ શહેરમાં આજે વધુ બે કેસ નોંધાયા છે. શાંતિ નિકેતન અને ભગવતીપરા વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 88 કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી રાજકોટમાં એક મોત થયું છે. અમીન માર્ગ પર રહેતા 88 વર્ષી વૃદ્ધા નું મોત થયું છે. ગત 28મી તારીખે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 4 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 35 દર્દીના મૃત્યુ થયા છે. ગઈ કાલે 344 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 19119 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1190એ પહોંચ્યો છે.

રાજ્યમાં ગઈ કાલે અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણા 9, પાટણ 6, જામનગર 6, વલસાડ 5, ભાવનગર 4, અમરેલી 4,ખેડા 3,ભરૂચ 3, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર,જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકા 1-1 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 35 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-30, સુરતમાં 2 , આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1190 પર પહોંચ્યો છે.