Rajkot Rain: રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા જનજીવન પ્રભાવિત થયું છે. સવારથી શરૂ થયેલા મૂશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી અને મોરબી હાઇવે જેવા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. અડધા કલાકના વરસાદમાં જ રાજકોટના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માધાપર ચોકડી, અમીન માર્ગ અને શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા, જેનાથી વાહનચાલકો ભારે પરેશાન થયા હતા અને તેમને ધક્કા મારવાની ફરજ પડી હતી.
આજે પણ રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જે દર વર્ષે ચોમાસામાં સામાન્ય બની ગઈ છે. માધાપર ચોકડી પર ભરાયેલા પાણીએ રાજકોટ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓ પર બંધ પડેલા વાહનો જોઈને લોકોએ મહાનગરપાલિકાના વહીવટીતંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયા પર 'વિકાસ પાણીમાં ડૂબ્યો' જેવા કટાક્ષ પણ કર્યા હતા.
આજે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમો પડ્યો છે, અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસશે. આજે સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૬૯ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
જુનાગઢમાં વરસાદી માહોલજુનાગઢ જિલ્લામાં ગઈકાલે સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. વિસાવદર અને ભેસાણ પંથકમાં વરસાદ નોંધાયો છે, જેમાં વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ અને ભેસાણમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. વિસાવદરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જ્યારે જુનાગઢ સહિત અન્ય તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
પંચમહાલમાં ધોધમાર વરસાદ અને પાનમ ડેમના દરવાજા ખોલાયાપંચમહાલના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોધરામાં કલેક્ટર કચેરીના ગેટ પાસે પાણી ભરાયા છે. વરસાદને પગલે પાનમ ડેમના પાંચ દરવાજા ૭ ફૂટ ખોલીને ૪૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.