રાજકોટઃ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં જ્યારે ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં સવારે 7 વાગીને 23 મિનિટે વિદ્યાર્થિની અચાનક ધ્રુજારી ઉપડ્યા બાદ બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં વિદ્યાર્થીનીના માતાપિતાને પણ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ માટે વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.


પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. પ્રાથમિક તારણ અનુસાર હાર્ટ એટેકના કારણે બાળકીનું મોત થયાનું અનુમાન છે. તો આ તરફ મૃતક વિદ્યાર્થિનીના માતા-પિતાએ કેટલાક ગંભીર સવાલ પણ ઉઠાવ્યા હતા. મૃતક વિદ્યાર્થિનીના માતાના મતે ઠંડીના કારણે તેની દીકરીનું મોત થયું હતું. જેમાં શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર છે. શાળા સંચાલકો પોતાના જ સ્વેટર પહેરવા માટે બાળકોને મજબૂર કરે છે. જેમાં બાળકો ઠંડી ઝીલી શકતા નથી. મૃતક બાળકીની માતાએ સવાલ કર્યો કે બાળકો જેકેટ પહેરીને આવે તો તેમાં શાળાઓને શું વાંધો હોઈ શકે. સાથે જ કહ્યું કે શિયાળામાં શાળાની સવારની પાળીનો સમય મોડો હોવો જોઈએ.


એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સવારના સાડા સાત વાગ્યા આસપાસ પોતાની સ્કૂલે ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ પ્રાર્થના ખંડમાં પ્રાર્થના પણ કરી હતી. પ્રાર્થના પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની પોતાના ક્લાસમાં પહોંચી હતી. ત્યારે ક્લાસમાં પ્રવેશ્યા બાદ વિદ્યાર્થીનીને અચાનક ધ્રુજારી ઉપાડતા તે બેભાન થઈ ઢળી પડી હતી.

ઘટનાની જાણ થતા માલવિયા નગર પોલીસના એ. એસ.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. શાળામાં સવારે 7:23 કલાકે અચાનક તબિયત લથડતા તેના માતા-પિતાને બોલાવ્યા હતા.માતા પિતા તાત્કાલિક સારવાર માટે એચ.જે.દોશી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ફોરેન્સિક પી.એમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે. દીકરીની માતા જાનકીબેન સાગરે રડતા રડતા કહ્યું મારી દીકરી સાથે થયું એવું બીજા બાળકો સાથે ન થાય.સ્કૂલનો સમય મોડો રાખવામાં આવે અને જાડા સ્વેટર પહેરવા દેવામાં આવે છે.

મળતી માહિતી મુજબ મૃતક વિદ્યાર્થી બે બહેનમાં સૌથી મોટી હતી. વિદ્યાર્થીનીના પિતા સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 10 વર્ષથી વિદ્યાર્થીની અને તેનો પરિવાર યુગાન્ડાના કંપાલામાં રહેતો હતો. જોકે કોરોના કાળમાં કોરોનાના કેસો વધી જતા પરિવાર રાજકોટ શિફ્ટ થયો હતો. ઠંડીના કારણે મૃત્યુ થયું છે તો શું સ્કૂલોનો સમય મોડો કરવાની જરૂર છે. કેમકે હાલમાં રાજ્યભરમાં હાડ થીજવતી પડી રહી ઠંડી છે. જેની સૌથી વધુ અસર નાના બાળકો પર થઈ રહી છે.પી.એમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.