રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના કુલ 99 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાંથી આવતા લોકોના કારણે સૌરાષ્ટ્રમાં સંક્રમણ વધ્યું હોવાનું કહેવાય છે.


ગઈકાલે એક જ દિવસમાં 5 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 10 લોકોના મોત થયા છે.

સૌરાષ્ટ્રમાં કરોનાનો ભરડો વધવા માટે તંત્રની સાથે સાથે લોકો પણ જવાબદાર છે. લોકડાઉન પૂરું થયા બાદ અનલોક શરૂ થતાં જ લોકો કોરોનાને લઈને બેદરકાર થઈ ગયા છે. લોકો તકેદારી ન રાખતા સંક્રમણ વધ્યું છે. રાજકોટમા ગઈકાલે વધુ 22 કેસ નોંધાયા હતા. જ્યારે ધોરાજીમાં પણ ગઈકાલે વધુ 5 કેસ નોંધાયા હતા.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે અમરેલીમાં કોરોનાના નવા 7 કેસ, જૂનાગઢમાં 4 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 3 કેસ, મોરબીમાં 3 કેસ અને પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અનુક્રમે 1-1 નવા કેસ નોંધાયા છે.