રાજકોટ: રાજકોટ પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ દ્વારા એક ઝાટકે 80 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે.  રાજકોટના ભૂતપૂર્વ પોલીસ કમિશનર આઇપીએસ અધિકારી મનોજ અગ્રવાલ સામે 75 લાખનો તોડ કરાયાના આક્ષેપ બાદ તેમની જૂનાગઢ ખાતે બદલી કરાઈ હતી.


ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીનું ડીજીપીએ સંપૂર્ણ વિસર્જન કરી બન્ને પીઆઇ, તમામ પીએસઆઈની બદલી કરી દીધી હતી.  આ બાદ પોલીસબેડામાં પણ મોટા ફેરફાર આવવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ જ રહી હતી.   ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આજે રાજકોટના જુદા જુદા પોલીસ મથક અને બ્રાન્ચ શાખામાં ફરજ બજાવતા 80 પોલીસમેનની આંતરિક બદલી કરતા આદેશો આપ્યા છે.  રાજકોટમાં આઈએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક, ટ્રાફિક જવાન સહિતના સ્ટાફની બદલી થઈ ગઈ છે.


રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી હતી


રાજકોટની કથિત કટકીકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી હતી.  SRPF ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટમાં પોલીસ કમિશનર ઈન્ચાર્જ તરીકે ખુર્શીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.  રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ વિરલ ગઢવી અને પીએસઆઈ એસ.બી.સાખરા તેમજ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


રાજકોટ (RAJKOT) પોલીસ કમિશનર (Commissioner of Police)દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર (State Government)દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસ અંગે 200 પાનાનો રિપોર્ટ  ગૃહ વિભાગને (Home Department)સોંપવામાં આવ્યો હતો.


આ રીપોર્ટના આધારે કાર્યવાહી કરાશે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)જણાવ્યું હતું.  રાજ્ય પોલીસ વડાએ ગૃહ મંત્રીને રીપોર્ટ સોંપ્યો હોય તેવા અહેવાલ હતા.  આઈપીએસ વિકાસ સહાયની તપાસ બાદ ડીજીપી આશિષ ભાટિયાને તપાસ રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો.