રાજકોટઃ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં આ સિઝનમાં સૌ કોઈ કેસર કેરીના સ્વાદને યાદ કરી રહ્યા છે. પણ લોકડાઉનને કારણે હજુ સુધી કેસર કેરીનો સ્વાદ લોકોને માણવા નથી મળ્યો. તેવામાં સારા સમાચાર એ છે કે, કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ ગઈ છે. રાજકોટમાં કેસર કેરેની મોટા પ્રમાણમાં આવક શરૂ થઈ છે.


મળતી માહિતી મુજબ રાજકોટમાં કેસર કેરીના 20 હજાર બોક્સની આવકો થઈ છે. આ વખતે લોકડાઉન છે ત્યારે કેસર કેરીના બોક્સના ભાવ 300થી 500 રૂપિયાની આસપાસ છે. જ્યારે સારી ક્વોલિટીની કેસર કેરીના ભાવ એક બોક્સના 700 રૂપિયા આસપાસ છે. એકંદરે હાલમાં કેરીના સરેરાશ ભાવ બોક્સના 400 રૂપિઆ આસપાસ રહેવાની ધારણા છે.

કેસર કરીને લઈને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે લોકોના સારી ક્વોલિટીની કેરી ખાવ મળશે. તેનું સૌથી મોટું કારણ છે વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતિ. કારણ કે સમગ્ર વિશ્વમાં ઘણાં દેશોમાં લોકડાઉન છે અને બીજી બાજુ હવાઈ સેવા પણ મોટા ભાગના દેશોમાં બંધ છે ત્યારે આ વખતે ગુજરાતમાં કેસર કેરની નિકાસ થાય તેની શક્યતા નહિંવત છે. આ સ્થિતિમાં કેસર કેરીનું વેચાણ ગુજરાત અને ભારતમાં જ થશે જેના કારણે લોકોને સારી ક્વોલિટીની કેસર કેરીનો સ્વાદ માણવા મળશે.

જોકે કેરીની નિકાસ ન થવાને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. આ વર્ષે  વિદેશમાં વસતા કેસર કેરીના રસિકો  કેસરના સ્વાદથી વંચિત રહે તેવી સંભાવના છે. વિદેશમાં કેરી એક્સપોર્ટ ન થવાના કારણે ગીરના ખેડૂતોને 75થી 100 કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.