રાજકોટઃ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરમા મા ખોડલની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે ખોડલધામમાં 21

  જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પણ કોરોનાના કારણે હવે આ પાટોત્સવ મંદિરમાં નહીં ઉજવાય. તેના બદલે વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન ઉજવણી થશે.


શું થઈ જાહેરાત


ખોડલધામના પ્રવકતા હસમુખ લુણાગરિયાએ આ જાહેરાત કરતાં કહ્યું કે, હવે મા ખોડલના મહાધામ ખોડલધામનો પાટોત્સવ ઓનલાઈન થશે. આ પાટોત્સવમાં ગામેગામથી લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાશે. આ પાટોત્સવનો લોકો લાભ લઈ શકે એટલા માટે સોશિયલ મીડિયા પર તેનું જીવંત પ્રસારણ કરાશે.


કેટલા લાખ લોકો એકત્ર થવાના હતા


હાલમાં કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ યોજવા મુદ્દે ચર્ચા ચાલતી હતી તેથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શુક્રવારે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટોત્સવ કઈ રીતે યોજવો તે અંગે ચર્ચા કરાઈ હતી. ચર્ચાને અંતે ઓનલાઈન પાટોત્સવ ઉજવાનું નક્કી કરાયું હતું. આ પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા નરેશ પટેલે વ્યક્ત કરી હતી પણ કોરોનાના કેસો વધતાં પાટોત્સવ ઓનલાઈન કરાશે તેથી ભીડ નહીં જામે.


ખોડલધામના સૂત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે નરેશ પટેલે ખોડલધામમાં ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. બપોરે મળેલી બેઠકમાં પાટોત્સવ ઓનલાઈન કરવાનો  નિર્ણય લેવાયો હતો. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવશે.


પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પોતે આખા રાજ્યનો પ્રવાસ કર્યો હતો. છેલ્લા બે મહિનાથી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા પાટોત્સવની તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોય સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા હતા.