રાજકોટઃ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરમાં યોજાનારો પાટોત્સવ ઓનલાઈન યોજવાનો નિર્ણય લેવાયો છે. જો કે કાગવડના ખોડલધામ મંદિરમાં યોજાનારી પાટીદાર મહાસભા રદ નથી કરાઈ એવો કાગવડના ખોડલધામ મંદિરના ચેરમેન નરેશ પટેલે હુંકાર કર્યો છે.


નરેશ પટેલે શું કર્યું એલાન


ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એલાન કર્યું છે કે,  હાલમાં પાટીદાર મહાસભા કેન્સલ નથી કરતા પણ મોકૂફ રાખી છે. આગામી દિવસોમાં મહાસભા થશે જ. મહાસભા અમે રદ નથી કરતા તેથી આવતા દિવસમાં તારીખ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર મહાસભા દ્વારા  શક્તિ પ્રદર્શન કરાય છે અથવા લાગણી વ્યક્ત કરાય છે એમાં જેને જે સમજવું હોય તે સમજે. પાટીદાર સમાજ એક શક્તિ છે અને તેને પ્રદર્શનની જરૂર નથી.


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને થશે 5 વર્ષ પૂરા


મા ખોડલની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે ખોડલધામમાં 21  જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પણ કોરોનાના કારણે હવે આ પાટોત્સવ મંદિરમાં નહીં ઉજવાય. તેના બદલે વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન ઉજવણી થશે.


ખોડલધામનો પાટોત્સવ ઓનલાઈન થશે


ખોડલધામના પ્રવકતા હસમુખ લુણાગરિયાએ આ જાહેરાત કરતાં કહ્યું કે, હવે મા ખોડલના મહાધામ ખોડલધામનો પાટોત્સવ ઓનલાઈન થશે. આ પાટોત્સવમાં ગામેગામથી લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાશે. આ પાટોત્સવનો લોકો લાભ લઈ શકે એટલા માટે સોશિયલ મીડિયા પર તેનું જીવંત પ્રસારણ કરાશે. સરકારની ગાઈડલાઈન મુજબ પાટોત્સવ  યોજાશે.


હાલમાં કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ યોજવા મુદ્દે ચર્ચા ચાલતી હતી તેથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શુક્રવારે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટોત્સવ કઈ રીતે યોજવો તે અંગે ચર્ચા કરાઈ હતી. ચર્ચાને અંતે ઓનલાઈન પાટોત્સવ ઉજવાનું નક્કી કરાયું હતું. આ પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા નરેશ પટેલે વ્યક્ત કરી હતી પણ કોરોનાના કેસો વધતાં પાટોત્સવ ઓનલાઈન કરાશે તેથી ભીડ નહીં જામે.