રાજકોટઃ ગુજરાત સરકારે મંગળવારથી કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં વેપાર-ધંધા શરૂ કરવાની છૂટ આપી છે. જેમાં પાન-મસાલાની દુકાનોનો પણ સમાવેશ થાય છે. પાન-મસાલાના વેચાણને મંજૂરી મળતાં જ બંધાણીઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જોકે, પાન-મસાલાની દુકાનધારકોએ ધંધો શરૂ કરવાની લ્હાયમાં પહેલા જ દિવસે સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવી દીધા હતા.


મળતી વિગતો પ્રમાણે, રાજકોટમાં સોપારી અને તમાકુની એજન્સીમાં વહેલી સવારથી જ પાન-મસાલાના વેપારીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. મોટી સંખ્યામાં વેપારીઓ વહેલી સવારથી ખરીદી માટે એજન્સી ખૂલે તે પહેલા જ પહોંચી ગયા હતા. સોપારી અને તમાકુની ખરીદી માટે રાજકોટના કરણપરા વિસ્તારમાં લાંબી લાઈનો લાગી હતી. તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નહોતું.



આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને ખરીદી માટે આવેલા વેપારીઓને અહીંથી ખસેડ્યા હતા. બીજી તરફ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા વેપારીએ એજન્સી બંધ કરી દેવાની ફરજ પડી હતી.