મોરબીઃ પીપળીયા ગામના રહેવાસી મુછડીયા કાંતિલાલ અરજણભાઈએ જીવતા સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેઓ આગામી તારીખ ૨૮ના રોજ જીવતા સમાધી લેવાના હોવા અંગેનો પત્ર પણ તેમને લખ્યો છે. જીવતા સમાધિ લેવાનો દાવો કરનાર મુછડિયા કાંતિલાલ દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે, જામદુધઈ (આમરણ) ગામે ૪૫૦ વર્ષ પૂર્વે નવઘણદાદા થઇ ગયા, જે હડકવા મટાડતા હોવાની માન્યતા છે.


નવઘણ દાદાએ તેમના સપનામાં આવીને કહ્યું હતું કે, મારા ધર્મના રસ્તે ચાલીશ તો જ તને જીવાડીશ નહીતર તને મારી નાખીશ એવું કહ્યું હતું. પોતે જીવતા સમાધિ લેવાનું જાતે નક્કી કર્યું છે, જેના માટે પરિવારના કોઈ સભ્યોનો ત્રાસ કે દબાણ નથી તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ તા. ૨૮-૧૧-૧૯ ને ગુરુવારના દિવસે જીવતા સમાધિ લેવા માંગતા હોવાનું પત્રમાં જણાવ્યું છે, જે અંગે પાંચ મિત્રોને પણ જણાવ્યું હોવાનું પત્રમાં તેમને જણાવ્યું છે.