મોરબીઃ વાંકાનેર તાલુકાના હસનપર ગામે સગીરા અને તેના પ્રેમીએ બાવળજના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંનેએ એકબીજા વગર રહી ન શકતા અને પરિવાર તેમના લગ્ન માટે રાજી ન થતાં તેમણે આ પગલું ભરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, હસનપરના મૃતક સંજય (ઉં.વ.22) અને તેના જ પાડોશમાં રહેતી સગીરા સાથે તેને પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધ અંગે બંનેના પરિવારને પણ ખબર હતી. અગાઉ બંનેના રાજીખુશી લગ્ન કરાવી દેવા માટે પણ પ્રયાસો થયા હતા. જોકે, તેમાં બંનેના પરિવાર એકમત થયા નહોતા. આમ, બંનેના પરિવાર લગ્ન માટે રાજી ન થતાં તેમજ બંનેને એકબીજા વગર નહીં રહી શકે તેવું લાગતાં આ પગલું ભર્યું હતું. 


વાંકાનેર તાલુકાના હસનપર ગામે સ્મશાન પાસે બાવળના ઝાડ સાથે યુવક અને યુવતીની લાશ લટકતી જોવા મળતા ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.