રાજકોટ: જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ પક્ષપલટાની મોસમ ચાલી રહી છે તો બીજી તરફ નરેશ પટેલ ક્યારે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાય તેને લઈને અટકળો તેજ બની છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ આ મામલે નરેશ પટેલે કોઈ નિવેદન આપ્યું નથી. હવે મળતી માહિતી પ્રમાણે નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.


મળતી માહિતી પ્રમાણે નરેશ પટેલ 15થી 20 એપ્રિલની વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેની જાહેરાત કરશે. હાલમાં પાટીદાર અગ્રણીની ટીમ સર્વે કરી રહી છે, આ સર્વે આગામી 15 તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે. 15 થી 20 એપ્રિલ વચ્ચે તેઓ પત્રકાર પરિષદ બોલાવી જાહેરાત કરશે. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ સાથે તેમણે બેઠક કરી છે. તેથી કઈ પાર્ટીમાં તેઓ જોડાશે તેને લઈને સૌના મનમાં સવાલ છે.


નરેશ પટેલનું ‘રાજકારણ’, કોળી સમાજ બાદ દલિત સમાજ સાથે બેઠક


સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત છે.  છેલ્લે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહીત અન્ય સમજો સાથે બેઠકો શરૂ છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલે સૌરાષ્ટ્રના કોળી સમાજ સાથે બેઠક કર્યા બાદ દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.


અગાઉ કોળી સમાજ સાથે કરી હતી બેઠક 


અગાઉ 3 એપ્રિલે  ખોડલધામમાં નરેશ પટેલ અને કોળી સમાજના આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે કોળી સમાજ અને પટેલ સમાજ એક થઈને સાથે રહીને કાર્ય કરે તેવો નિર્ણય કર્યો છે. આ સાથે જ રાજકારણમાં પ્રવેશ બાબતે દરેક સમાજ આહ્વાન કરે ત્યારે રાજકારણમાં પ્રવેશનો સાચો દિવસ હશે તેમ નરેશ પટેલે જણાવ્યું છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે કોળી સમાજ, પાટીદાર સમાજ અને દરેક સમાજ સાથે રહી ગુજરાતનો વિકાસ થાય તેવો નિર્ણય કર્યો છે. નરેશ પટેલ અને માંધાતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પાસના દિનેશ બાંભણીયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.