Onion Prices: ભારત સરકાર દ્વાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ડુંગળીના ભાવ ન મળતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડના ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો.


ખેડૂતો દ્વારા રસ્તા પર ચક્કા જામ કરતાં ગોંડલ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે પર ચારે બાજુ રસ્તા પર ડુંગળીને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.


હાલમાં બજારમાં ખરીફ સિઝનની ડુંગળી આવી રહી છે. તેની ગુણવત્તા રવિ સિઝનની ડુંગળી કરતા હલકી ગુણવત્તાની છે. તેનું સ્વજીવન પણ ઓછું હોય છે. તેથી સરકાર ખરીફ સિઝનની ડુંગળી ખરીદતી નથી. પરંતુ ડુંગળીના ખેડૂતોના વિરોધને જોતા કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોક માટે લગભગ બે લાખ ટન ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરી છે. જેમાં નાફેડ દ્વારા એક લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે અને એનસીસીએફ દ્વારા એક લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે.


ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે 8 ડિસેમ્બરે નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. આ પ્રતિબંધ આવતા વર્ષે 31 માર્ચ સુધી અમલમાં છે. જેના કારણે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડુંગળીના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખરીફ સિઝનમાં ડુંગળીની ખરીદી શરૂ કરી છે.


સરકારે ડુંગળી માટે બફર સ્ટોકનો લક્ષ્યાંક વધાર્યો છે. એવું જાણવા મળ્યું છે કે સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે બફર સ્ટોકનો લક્ષ્યાંક વધારીને સાત લાખ ટન કર્યો છે. જ્યારે ગયા વર્ષે વાસ્તવિક સ્ટોક માત્ર ત્રણ લાખ ટનનો હતો. બાદમાં તેમાં બે લાખ ટન વધુ ઉમેરવામાં આવ્યા હતા. આ પછી કુલ પાંચ લાખ ટનનો બફર સ્ટોક સર્જાયો હતો.